ગુજરાતમાં હાઈવે પર અકસ્માતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ઝડપભેર દોડતા વાહનોના કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો નોંધાઈ રહ્યો છે. દરમિયાન આજે અમદાવાદ-બગોદ્રા હાઈવે પર એક ગંભીર અકસ્માત સર્જાયો છે. આ ગમખ્વાર અકસ્માતમાં 5 મહિલા અને 3 બાળક સહિત 10 લોકોનાં મોત નીપજ્યાં છે. રસ્તા પર ઉભા રહેલા ટ્રક પાછળ મિની ટ્રક ઘૂસી જતાં આ ગંભીર દુર્ઘટના સર્જાઈ હતી. આ તમામ લોકો કપડવંજના સુણદા ગામના રહેવાસીઓ હોવાની માહિતી સામે આવી રહી છે.
Advertisement
Advertisement
આ ઘટના અંગે મળી રહેલી પ્રાથમિક માહિતી પ્રમાણે અકસ્માતમાં 10 વ્યક્તિનાં મોત અને 10 વ્યક્તિ ઘાયલ થઈ હોવાનું મનાય છે, જેમાં 3 લોકોની હાલત ગંભીર છે. ઘાયલોને અમદાવાદની અસારવા સિવિલ હોસ્પિટલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી હતી. આ અકસ્માત અમદાવાદથી 50 કિમી દૂર બાવળા-બગોદરા વચ્ચે થયો છે. અકસ્માતના કારણે બાવળા-બગોદરા હાઈવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો છે. લોકોનાં ટોળાં પણ હાઈવે પર ઊમટ્યાં છે.
મળતી માહિતી પ્રમાણે કપડવંજ અને બાલાસિનોરના 17 લોકો છોટા હાથીના લોડિંગ ટેમ્પોમાં બેસીને ચોટીલા દર્શને ગયા હતા. દર્શન કરીને તેઓ પરત ફરી રહ્યા હતા ત્યારે બાવળા-બગોદરા વચ્ચે પંચર થયેલો એક ટ્રક ઊભો હતો. ત્યારે આ લોડિંગ ટેમ્પો ઊભા રહેલા ટ્રકની પાછળ અચાનક ઘૂસી ગયો હતો. આ ભયાનક અકસ્માતમાં 10 લોકોએ ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો. આ અંગે અમદાવાદ જિલ્લા ડીએસપી અમિત વસાવાએ જણાવ્યું હતું કે, હાલ તમામ મૃતકોના પોસ્ટમોર્ટમ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મુખ્યમંત્રીએ દુઃખ વ્યક્ત કર્યું
મંત્રી ભૂપેન્દ્ર પટેલે ટ્વીટ કરી દુઃખ વ્યક્ત કરતાં લખ્યું છે કે અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલા અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય એવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોનાં પરિવારજનોની સાથે છે.
અમદાવાદ જિલ્લામાં બાવળા-બગોદરા હાઈવે પર થયેલ અકસ્માતની ઘટના હૃદયવિદારક છે. ઈશ્વર આ દુર્ઘટનામાં જીવ ગુમાવનાર મૃતકોના આત્માને શાંતિ આપે અને ઈજાગ્રસ્તો ઝડપથી સાજા થાય તેવી પ્રાર્થના કરું છું. મારી સંવેદના મૃતકોના પરિવારજનોની સાથે છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 11, 2023
દરમિયાન, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના અમદાવાદમાં બાવળા-બગોદરા હાઈવે પર માર્ગ દુર્ઘટનાને કારણે થયેલી જાનહાનિ બદલ ઊંડો શોક વ્યક્ત કર્યો છે. વડાપ્રધાન મોદીએ PMNRF તરફથી દરેક મૃતકના નજીકના સંબંધીઓને રૂ. 2 લાખ એક્સ-ગ્રેશિયાની અને ઘાયલોને રૂ. 50,000 આપવાની પણ જાહેરાત કરી હતી.
Advertisement