આણંદ મધ્ય ગુજરાત વીજ નિગમ (એમજીવીસીએલ)ની 26 ટીમો દ્વારા જિલ્લાના જુદા-જુદા ગ્રામ્ય અને સીમ વિસ્તારોમાં છેલ્લાં અઠવાડિયા દરમિયાન ઓચિંતી તપાસ હાથ ધરી 358 કનેક્શનોની ચકાસણી કરી 50 કનેક્શનમાં વીજ ચોરી કરાતી હોવાનું સામે આવ્યું છે. આ વીજ ચોરી કરનારાઓને એમજીવીસીએલ દ્વારા રુ.13.42 લાખની દંડનીય કાર્યવાહી કરાઈ છે.
ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે તાપ સામે રક્ષણ આપતા વીજ ઉપકરણોના ઉપભોગમાં વધારો થતા કેટલાક વીજ ધારકો ગેરકાયદેસર રીતે વીજ વપરાશ કરી રહ્યા હોવાનું ચેકીંગમાં બહાર આવ્યું છે.
તાજેતરમાં એમજીવીસીએલ આણંદ સર્કલ કચેરીના અધિકારીઓ, કાર્યપાલક ઈજનેરો સહિતની 26 ટીમોએ આણંદ, પેટલાદ, બોરસદ, ખંભાત, સોજિત્રા, તારાપુર તેમજ આંકલાવ તાલુકાના ગ્રામ્ય-શહેરી સહિતના 358 કનેક્શનોની ચકાસણી કરાઈ હતી, જેમાં પોલ ઉપરથી બારોબાર વીજળી મેળવવી, કેબલો ઉપર લંગસ નાંખીને વીજ પ્રવાહમાં અવરોધ ઊભો કરવો, ઘરેલું કનેક્શનનો કોમર્શિયલ કે ખેતી વિષયક ઉપયોગ કરવો, કૃષિ વિષય જોડાણનો હેતુફેર કરી અન્ય સ્થળે વપરાશ, વીજ કંપની કે અધિકૃત અધિકારીની મંજૂરી કે પરવાનગી વિના ઘરેલું જોડાણમાંથી અન્યત્ર વ્યવસાયિકો, રહીશોને અનઅધિકૃત રીતે જોડાણ આપી આર્થિક લાભ મેળવવો, મીટર સાથે ચેડાં કરવા અને વીજભારમાં શંકાસ્પદ વધઘટ સહિત 15સ્થળોએ વીજ ચોરી થતી હોવાના 50 કેસ ઝડપી પાડયા હતા.
વીજ ચેકીંગ અધિકારીઓએ વીજ ચોરી કરતા તત્ત્વોને રુ. 13.42 લાખના દંડની રકમના બીલો ઈસ્યૂ કરી સમય મર્યાદામાં ભરપાઈ કરવા જણાવાયું હતું. સમય મર્યાદામાં દંડ ન ભરનાર વીજ ચોરી કરનાર તત્ત્વો સામે નિયમોનુસાર કાર્યવાહી કરાશે તેમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે.
Advertisement