તાજેતરમાં જ ગીરના ઘરેણાં સમાન સિંહો માટેનો પ્રોજેક્ટ લાયન અમલમાં મૂકાવવાની વન વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી પરંતુ વડાપ્રધાનનો સંભવિત કાર્યક્રમ હજુ સુધી નક્કી ન થતા પ્રોજેક્ટ પાછો ઠેલાયો છે. સિંહો માટે સારુ મુહૂર્ત ન આવતું હોય તેમ વધુ એકવાર મહત્વનો પ્રોજેક્ટ ત્રણ વર્ષ બાદ પણ પાછો ઠેલાયો છે.
પ્રોજેક્ટ ટાઈગર, પ્રોજેક્ટ એલિફન્ટની સફળતા બાદ ગીરના સિંહો માટે ત્રણ વર્ષ પહેલા ખુદ વડાપ્રધાને પ્રોજેક્ટ લાયનની જાહેરાત કરી હતી. ત્રણ વર્ષ થવા છતા હજુ પ્રોજેક્ટ લાયન અમલમાં મૂકાયો નથી.
વડાપ્રધાન સૌરાષ્ટ્ર-તમિલ સંગમ કાર્યક્રમમાં હાજરી આપશે પરંતુ હજુ સુધી કોઈ ઓફિશિયલ જાહેરાત કરાઈ ન હોવાથી પ્રોજેક્ટ લાયન અમલમાં અભરાઈએ જ છે. સિંહ પ્રેમીઓ પ્રોજેક્ટ લાયન અમલમાં આવે તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે કેમ કે ગીરના સિંહોની સંખ્યા વધી રહી છે તે ગૌરવની વાત છે. પરંતુ સિંહોને શિકાર માટે જંગલને બદલે રેવન્યુ અને રેવન્યુને બદલે હવે ગામમાં ઘૂસી મારણ કરવા પડે છે અને ઘણીવાર સિંહોને પજવણીનો ભોગ પણ બનવું પડી રહ્યું છે.
શિકારની શોધમાં રેવન્યૂ વિસ્તાર બાદ ગામમાં ઘૂસી આવતા સિંહો લોકોની નજરે ચડી જાય તો સિંહોની પજવણી કરવામાં આવતી હોય તેના રોજબરોજ વિડિયો પણ સામે આવી રહ્યા છે. સિંહોના નવા રહેણાંક આપવા, સિંહો માટે આધુનિક સુવિધા સાથેની હોસ્પિટલો બનાવી, સહિત અનેક મહત્વના કામ પ્રોજેક્ટ લાયનમાં હોય તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
Advertisement