પૂર્વ કચ્છ પોલીસ વડા દ્વારા પૂર્વ કચ્છના વડું મથક એવા અંજાર પોલીસ મથકનું વાર્ષિક ઇન્સ્પેકશન કરવામાં આવી રહ્યું છે. જે દરમિયાન કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જાણવા અંજારના આગેવાનો સાથે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આગેવાનો દ્વારા શહેર અને તાલુકામાં દેશીદારુનો થતો ખુલ્લેઆમ વેચાણ બંધ કરાવી ધૂમ સ્ટાઇલે બાઈક ચલાવતા યુવાનો પર કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી હતી.
ઉપરાંત નાગલપર-સાપેડા માર્ગને તાત્કાલિક શરુ કરવાની માંગ કરવામાં આવતા એસ.પી.એ આ બાબતે જિલ્લા કલેકટર સાથે વાત કરવાની ખાતરી આપી હતી તેમજ લોકો મુક્તપણે કોઇપણ ઘટનાની જાણ પોલસને કરે તે માટેની અપીલ કરી હતી.
પૂર્વ કચ્છ પોલીસવડા મહેન્દ્ર બગડીયાએ કહ્યું હતું કે લોકોની સુરક્ષા માટે પોલીસ હરહંમેશ કડક કાર્યવાહી કરશે. કોઈપણ બનાવ અંગે પ્રજાએ પોલીસ પર વિશ્વાસ મૂકી મુક્તપણે જાણ કરવી જોઈએ અને પોલીસને કામગીરી કરવા મોકો આપવો જોઈએ. વરસામેડી, ગંગાનાકા, રેલવે ફાટક પાસે થતી ટ્રાફિક સમસ્યા નિવારવા માટે જુદા-જુદા પોઈન્ટ ઊભા કરી સમસ્યાને હળવી કરાશે તેવું પોલીસતંત્રે કહ્યું હતું. આ વેળાએ શહેરમાં ટ્રાન્સપોર્ટના વાહનોને પ્રવેશ માટે થતી પરેશાની, ટ્રાફિક સમસ્યા, વાહનોમાં ઘાસચારો અને ગેરકાયદે રીતે જાહેરમાં વેચાતા મટન બંધ કરાવવા, બાઈકર્સ ઉપર તવાઈ બોલાવવા માંગ કરાઈ હતી.
Advertisement