અમદાવાદ ઇસ્કોન બ્રિજ અકસ્માતમાં 9 લોકોનો ભોગ લેનાર જેગુઆર કારચાલક તથ્ય પટેલ અને તેના પિતા પ્રજ્ઞેશ પટેલ અત્યારે જ્યુડિશિયલ કસ્ટડી અંતર્ગત અમદાવાદની સાબરમતી જેલમાં છે. તથ્ય પટેલે અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં રેગ્યુલર જામીન અરજી ફાઈલ કરી હતી, જેના પર આજે સુનાવણી હાથ ધરાઈ હતી. જોકે બન્ને પક્ષની દલીલો પૂર્ણ થયા બાદ કોર્ટે તથ્ય પટેલની જામીન અરજી પર 24 ઓગસ્ટે ચુકાદો આપવા જણાવ્યું હતું. તથ્ય પટેલની જામીન અરજીનો રાજ્ય સરકારે વિરોધ કર્યો હતો.
Advertisement
Advertisement
રાજ્ય સરકારે જામીન અરજીનો વિરોધ કર્યો
રાજ્ય સરકારે કોર્ટને જણાવ્યું કે આ કેસમાં ચાર્જશીટ થઈ ગયું છે. પરંતુ, હજુ તપાસ ચાલુ છે. રસ્તો ખુલ્લો હોવા છતાં તથ્ય પટેલે બેફામ ગાડી હંકારી, સ્પીડ અંગેનો એફએસએલ રિપોર્ટ ચાર્જશીટ સાથે જ રજૂ કરાયો છે. આરોપી ગુનાહિત માનસ ધરાવે છે, મૃતકો 25 વર્ષથી ઓછી ઉંમરના હતા. રાજ્ય સરકાર તરફથી એવી પણ રજૂઆત કરવામાં આવી હતી કે બચાવ પક્ષે રજૂ કરેલા ચુકાદા આ કેસના હકીકત અને વિગતોને લાગુ પડતા નથી. રાજ્ય સરકારે કોર્ટ સમક્ષ આરોપીના જામીન નામંજૂર કરવા રજૂઆત કરી હતી.
પીડિત પક્ષ દ્વારા પણ જામીન અરજીનો વિરોધ
પીડિત પક્ષ દ્વારા પણ તથ્ય પટેલની જામીન અરજીનો વિરોધ કરાયો હતો. પીડિત પક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી કે પૂરઝડપે કાર ચલાવવાથી પોતાનું અને અન્ય લોકોનું મોત નીપજી શકે તેવી જાણકારી હોવા છતાં તથ્ય પટેલે બેદરકારીથી કાર ચલાવી નવ લોકોને કચડ્યા. નવ લોકોને કચડયા બાદ પણ તથ્ય પટેલે ગાડીને બ્રેક ન મારી. પીડિત પક્ષ દ્વારા રજૂઆત કરાઈ હતી કે આરોપી વળતર પેટે પૈસા ડિપોઝિટ કરાવવા તૈયાર હોવાની બાબત શું સૂચવે છે ? વળતર પેટે પૈસા ચૂકવશે તો શું મૃતકો જીવતા થઈ જશે ? પીડિત પક્ષે રજૂઆત કરી કે નિર્દોષ લોકોને કચડી નાંખનારા આરોપીને જામીન આપવા જોઈએ નહીં.
પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર
દરમિયાન, ગઈકાલે આરોપી તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલની હંગામી જામીન અરજીની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ હતી. બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે ચુકાદો અનામત રાખ્યો હતો. પ્રજ્ઞેશ પટેલે મોંના કેન્સરના કારણે મેડિકલ જામીન માંગ્યા હતાં. પ્રજ્ઞેશ પટેલે મેડિકલ ગ્રાઉન્ડ પર કરેલી હંગામી જામીન અરજી પર સુનાવણી થઈ હતી. જોકે, પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી નામંજૂર કરવામાં આવી હતી. તેથી પ્રજ્ઞેશ પટેલને હજુ વધુ સમય જેલમાં જ રહેવું પડશે.
Advertisement