દિલ્હી: તાજેતરમાં જ દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ISIS મોડ્યુલના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી સહિત ત્રણની ધરપકડ કરી હતી. આ ત્રણ આતંકવાદીઓની પૂછપરછ દરમિયાન પોલીસને ચોંકાવનારી માહિતી મળી હતી. આતંકવાદીઓએ જણાવ્યું કે તેઓ ગુજરાતના ચાર મોટા શહેરોમાં 26/11 જેવા મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ સિવાય દેશના વિવિધ સ્થળો પણ તેમના નિશાન પર હતા.
Advertisement
Advertisement
ગુજરાત સહિત દેશના 18 સ્થળોને નિશાન બનાવ્યા હતા
દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલ દ્વારા ધરપકડ કરાયેલા ત્રણ આતંકીઓએ ઘણાં મહત્વના ખુલાસા કર્યા છે. આ ત્રણેયમાં મુખ્ય આરોપી શાહનવાઝે તેના સાગરિતો સાથે મળીને દિલ્હી-એનસીઆર અને ગુજરાત સહિત ઉત્તર ભારતમાં 18 સ્થળોને નિશાન બનાવ્યા હતા. આ માટે આતંકવાદીઓએ સુરત, વડોદરા અને ગાંધીનગરના મંદિરો સહિત રાજ્યના ભીડવાળા વિસ્તારોમાં ઘણી જગ્યાએ રેકી પણ કરી હતી. આ આતંકવાદીઓને સરહદ પારથી મોટા પાયે બોમ્બ વિસ્ફોટ કરીને વિનાશ વેરવાની સૂચના આપવામાં આવી હતી. ISISના આ પુણે મોડ્યુલમાં યુવાનોની ભરતી કરવામાં આવી રહી હતી અને તેમને વિસ્ફોટકો તૈયાર કરવા અને વિસ્ફોટ કરવા અંગેની તાલીમ આપવામાં આવી રહી હતી.
26/11 કરતાં પણ મોટા હુમલાની યોજના હતી
દેશના મોટા મંદિરો અને પ્રખ્યાત સ્થળો આતંકવાદીઓના નિશાના પર હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુંબઈમાં મરીન ડ્રાઈવ પર ચાબડ હાઉસ અને અયોધ્યામાં રામ મંદિર જેવી ઘણી પ્રખ્યાત જગ્યાઓ તેમના નિશાન પર હતી. પકડાયેલા આ ત્રણેય આતંકવાદીઓ 26/11 કરતા પણ મોટા હુમલાની યોજના બનાવી રહ્યા હતા. આ ત્રણેય આતંકવાદીઓ ગુજરાતના અક્ષરધામ મંદિર આતંકી હુમલાના માસ્ટરમાઈન્ડ ભાગેડુ ફરતુલ્લા ઘોરી અને તેના જમાઈ શાહિદ ફૈઝલના સંપર્કમાં હતા, જેઓ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISIના રક્ષણ હેઠળ છે.
આતંકીની પત્નીનું ગુજરાત સાથેનું કનેક્શન પણ બહાર આવ્યું
ઉલ્લેખનીય છે કે દિલ્હી પોલીસની સ્પેશિયલ ટીમે ત્રણ આતંકવાદીઓની ધરપકડ કરી છે અને તેમની વિસ્તૃત પૂછપરછ દરમિયાન આ મોટા ખુલાસા થયાં છે. તેમાં મુખ્ય આરોપી શાહનવાઝનું ગુજરાત કનેક્શન પણ સામે આવ્યું છે. શાહનવાઝની પત્ની ગુજરાતી હોવાનો ખુલાસો થયો છે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, આતંકવાદી શાહનવાઝે 2021માં બસંતી પટેલ નામની મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેનું ધર્મપરિવર્તન કરાવીને તેનું નામ મરિયમ રાખવામાં આવ્યું છે.
Advertisement