અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક નવો વિચાર રજૂ કરવામાં આવ્યો છે. મહાનગરપાલિકા એએમટીએસ અને બીઆરટીએસને એક કરવાની તૈયારી કરી રહી છે, જે લગભગ એક વર્ષમાં પૂર્ણ થશે. આ યોજના પ્રમાણે બધું બરાબર પાર પડશે તો અમદાવાદીઓ એક જ ટિકિટમાં કોઈપણ બસમાં મુસાફરી કરી શકશે. આગામી એક વર્ષમાં શહેરના જાહેર પરિવહનને ચાર તબક્કામાં એકીકૃત કરવાની યોજના બનાવવામાં આવી રહી છે.
Advertisement
Advertisement
પહેલા તબક્કામાં એએમટીએસ અને બીઆરટીએસના ભાડા એકસમાન કરવામાં આવશે, બીજા તબક્કામાં બસ સેવા એક ટિકિટ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે, ત્રીજા તબક્કામાં રૂટને તર્કસંગત બનાવવામાં આવશે અને ચોથા તબક્કામાં જરૂરી રૂટ પર બસો શરૂ કરવામાં આવશે. AMCએ કહ્યું છે કે ભવિષ્યમાં મેટ્રો પર પણ વિચાર કરવામાં આવશે. AMCના જણાવ્યા અનુસાર, ભવિષ્યમાં BRTS-AMTS બસોની મુસાફરીને સુવિધાજનક બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. કારણ કે બંને બસના મુસાફરો એકની ટિકિટ લીધા બાદ પણ બીજી બસમાં મુસાફરી કરી શકશે.
બંને ટીકીટોને એક કરવાથી શું ફાયદો?
સમયની સાથે ટ્રાફિકની સમસ્યા વધી રહી છે ત્યારે વાહનવ્યવહારની સુવિધા આપવા માટે અનેક પ્રયોગો કરવામાં આવી રહ્યા છે. બીઆરટીએસ-એએમટીએસ બસ ટિકિટોનું એકીકરણ કરીને લોકોની સુવિધા વધારવાના પ્રયાસો હાથ ધરાયા છે. બંને ટિકિટ એકસરખી હોય તો લોકો કોઈપણ ટિકિટ લઈને ગમે ત્યાં જઈ શકે છે. તેમને પુરતી સુવિધાઓ મળવા લાગશે. આ ઉપરાંત વારંવાર ટિકિટ મેળવવાની ઝંઝટનો પણ અંત આવશે.
આ બાબતે બીઆરટીએસના જનરલ મેનેજર અને આસિસ્ટન્ટ કમિશનર વિશાલ ખાનમાએ મીડિયા સાથે વાતચીત કરતાં જણાવ્યું હતું કે AMCએ નજીકના ભવિષ્યમાં મુસાફરોને એક જ ટિકિટ સાથે BRTS અને AMTSમાં મુસાફરી કરવા સક્ષમ બનાવવાનું આયોજન કર્યું છે. પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ વધારવા માટે આ પગલું લેવામાં આવશે, જેથી ભવિષ્યમાં લોકો બંને સુવિધાનો લાભ લઈ શકે.
Advertisement