ચક્રવાત બિપરજોય નજીક આવી રહ્યું હોવાથી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના ભારતીય હવામાન વિભાગ (IMD) એ વ્યક્ત કરી છે. ચક્રવાત બિપરજોય ઉત્તર-ઉત્તરપૂર્વ તરફ આગળ વધવાની અને સૌરાષ્ટ્ર – કચ્છને પાર કરીને નજીકના માંડવી (ગુજરાત) અને કરાચી (પાકિસ્તાન)વચ્ચે અતિ તીવ્ર ચક્રવાતી તોફાન તરીકે 15મી જૂનની સાંજ સુધીમાં ટકરાવાની શક્યતા છે. તે દરમિયાન પવનની મહત્તમ ઝડપ 125-135 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. તેસાથે IMD દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરી દેવાયું છે. આ અગાઉ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું. માંડવી ખાતે ચક્રવાતની અસર હેઠળ દરિયો તોફાની બન્યો છે અને ઉંચા મોજા ઉછળી રહ્યા છે.
Advertisement
Advertisement
ઉત્તરપૂર્વ અરબી સમુદ્ર પર ઉદભવેલું અત્યંત તીવ્ર ચક્રવાતી તોફાન “બિપરજોય” 5 કિમી પ્રતિ કલાકની ઝડપે લગભગ ઉત્તર-ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું હતું અને આજે 14મી જૂને વહેલી સવારે 0230 વાગ્યાની સ્થિતિએ પોરબંદરથી દક્ષિણપશ્ચિમે 350 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 300 કિ.મી, જખૌ બંદરથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 290 કિ.મી, નલિયાથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 310 કિ.મી અને પાકિસ્તાનના કરાચીથી દક્ષિણ-દક્ષિણ પશ્ચિમે 370 કિ.મી દૂર કેન્દ્રીત હતું.
Cyclone Warning for Saurashtra & Kutch Coasts: RED MESSAGE. VSCS BIPARJOY at 0530IST of today over NE Arabian Sea near lat 21.9N & long 66.3E, about 280km WSW of Jakhau Port (Gujarat), 290km WSW of Devbhumi Dwarka. To cross near Jakhau Port (Gujarat) by evening of 15June as VSCS. pic.twitter.com/DQPh75eXwY
— India Meteorological Department (@Indiametdept) June 14, 2023
ચક્રવાતી તોફાન “બિપરજોય”ની અસરને લીધે 14મી જૂને એટલે કે આજે સૌરાષ્ટ્ર અને કચ્છના કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, જૂનાગઢ અને મોરબી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ સાથે મોટાભાગના સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ અને છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ થવાની સંભાવના છે. વરસાદની તીવ્રતામાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ સાથે વધારો થવાની શક્યતા છે.
દરમિયાન, બિપરજોય વાવાઝોડાને ધ્યાને લેતા જામનગર મિલિટરી સ્ટેશનથી આર્મીના 78 જેટલા જવાનો 17 વાહનો મારફતે જામનગરના આર્મી કેમ્પથી દ્વારકા તરફ જવા રવાના થયા હતા. જામનગરમાં સેનાની ત્રણે પાંખો આર્મી, નેવી અને એરફોર્સ પણ રાહતકાર્યમાં મદદ કરશે. ચક્રવાત બિપરજોયથી જે વિસ્તારોમાં વધુ નુકસાન થવાની આશંકા છે ત્યાંથી લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવી રહ્યા છે, અત્યાર સુધીમાં 28 હજાર લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. રાજ્યમાં NDRFની 17 ટીમો અને SDRFની 13 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત વધુ 15 ટીમો સ્ટેન્ડબાય રાખવામાં આવી છે. કચ્છ, પોરબંદર, દ્વારકા, રાજકોટ, જૂનાગઢ અને મોરબીમાં NDRFની ટીમો તૈનાત છે.
દરમિયાન, ચક્રવાતની સૌથી વધુ અસર થવાની શક્યતા છે તેવા કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ ૮ જિલ્લાઓમાંથી ૩૭,૭૯૪ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરાયું છે. આ આઠ જિલ્લાઓમાંથી ૬૨૨૯ અગરિયા ભાઈબહેનોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે. દ્વારકા જિલ્લામાં 138 સગર્ભા મહિલાઓની ડિલિવરી 20 તારીખ પહેલા થવાની છે તેમને તેમના સંબંધીઓ સાથે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર-કચ્છના આઠ જિલ્લામાંથી કુલ ૪૦૫૦ હોર્ડિંગ્સ દૂર કરવામાં આવ્યા છે. ભારે વરસાદ કે વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડીયો ઓપરેટર, જી-સ્વાન નેટવર્કની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા રાજ્ય સરકાર દ્વારા સૂચના અપાઈ છે.
ચક્રવાત બિપરજોય, છેલ્લાં 60 વર્ષમાં પશ્ચિમ કિનારે ત્રાટકનારું એકમાત્ર ત્રીજું ચક્રવાત છે. નિષ્ણાતો કહે છે કે આવર્તન અને તીવ્રતામાં વધારો હવામાન પરિવર્તનની નકારાત્મક અસર સૂચવે છે.
Advertisement