હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, આગામી દિવસોમાં ગરમીનો પારો તો ગગડશે પરંતુ વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધી જશે. આમ ગરમીમાં ઘટાડો થવાં છતાં તમને ગરમી સાથે બફારો ફ્રિમાં મળવા જઈ રહ્યો છે. સ્વાભાવિક છે કે, વાતાવરણમાં ભેજના કારણે બફારામાં વધારો થશે, જે લોકો માટે અકળામણ નું કારણ બનશે અને માનવજાતને બેચેન કરી મૂકશે.
Advertisement
Advertisement
એક સમયે ગરમી સહન કરી શકાય છે પરંતુ હવામાં ભેજનું પ્રમાણ વધવાથી બફારો એટલો વધી જાય છે કે, તે સહન કરવો લોકો માટે અસહ્ય થઈ પડે છે. બફારાના કારણે ઘરની સીલીંગ પર લાગેલા પંખાનો પવન પણ શરીર પર અડતો નથી. આમ આગામી દિવસોમાં લોકોની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે.
તાપમાન ઘટવાની સાથે ભેજનું પ્રમાણ વધવાથી લોકો પરસેવે રેબઝેબ થઈ શકે છે. આ સાથે અમદાવાદ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. અમદાવાદમાં તાપમાન 42 ડિગ્રીની આસપાસ રહે છે, જેમાં આગામી સમયમાં ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો મનોરમા મોહંતી અનુસાર, ગુજરાત રાજ્યમાં આગામી પાંચ દિવસ હવામાન સૂકું રહેવાની આગાહી કરવામાં આવી રહી છે. આ સિવાય આગામી પાંચ દિવસ તાપમાનમાં પણ મોટા ફેરફાર થવાની સંભાવના નથી. એટલે કે આજથી ચાર દિવસ માટે હવામાન સૂકું રહેવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. આ સાથે વરસાદ થવાની કોઈ જ આગાહી કરવામાં આવી નથી.
હવામાન વિભાગે ગરમીમાં 2થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની આગાહી કરી છે. જોકે, ગરમીમાં ઘટાડો થવાની સંભાવનાની સાથે ભેજનું પ્રમાણ વધવાની પણ શક્યતાઓ વ્યક્ત કરાઈ હતી. ગાંધીનગરનું મહત્તમ તપમાન 42 ડિગ્રી રહ્યું હતું. તે ઉપરાંત અમરેલી, રાજકોટ, સુરેન્દ્રનગર, વલ્લભ વિદ્યાનગર, વડોદરામાં તાપમાન 41 ડિગ્રી નોંધાયું હતું. સૌરાષ્ટ્રના ત્રણ ભાગોને છોડતા બાકી તમામ જગ્યાઓ પર 35 ડિગ્રીની આસપાસ તાપમાન નોંધાયું હતું.
રાજ્યમાં ભેજનું પ્રમાણ 80%ને પાર જઈ રહ્યું છે. જેમાં દરિયા કિનારાના વિસ્તારોમાં ભેજનું પ્રમાણ વધારે રહે છે. બપોર પછી ગરમીનું જોર વધતા ભેજના પ્રમાણમાં ઘટાડો થવા લાગે છે. આગાહી અનુસાર આગામી દિવસોમાં ભેજનું પ્રમાણ વધવા સાથે બફારો અને અકળામણમાં વધારો થઈ શકે છે.
Advertisement