અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરના કારણે ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, આ દરમિયાન હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. પાટણ અને મહેસાણામાં આજે ભારે વરસાદની સંભાવના છે. આ ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદ થવાની શક્યતા છે.
Advertisement
Advertisement
કચ્છમાં આજે અને આવતીકાલે ભારે વરસાદની શક્યતા
હવામાન વિભાગે ભાવનગરમાં પણ વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આજે અને આવતીકાલે કચ્છમાં ભારે વરસાદની પણ શક્યતા છે. અરવલી, ખેડા, મહિસાગરમાં વરસાદ માટે રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ ઉપરાંત સાબરકાંઠા, મહેસાણા, વડોદરા, અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભરૂચ, નર્મદા, તાપી, છોટા ઉદેપુર, સુરતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
હવામાનશાસ્ત્રી અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદની શક્યતા વ્યક્ત કરી છે. અંબાલાલ પટેલે છોટા ઉદેપુર અને નર્મદામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. અમદાવાદ, વલસાડ, દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ રહેશે. અનેક જગ્યાએ ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા છે. અંબાલાલે દક્ષિણ ગુજરાતના નર્મદા, તાપી, દમણમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આ ઉપરાંત તેમણે પંચમહાલ, વડોદરા અને સુરતમાં પણ ભારે વરસાદની આશંકા વ્યક્ત કરી છે.
ઉત્તર ગુજરાતના પાટણ, ખેડા, મહેસાણા, અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની સંભાવના છે. સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં વરસાદની આગાહી છે. ત્રણ દિવસના વરસાદ બાદ બીજી સિસ્ટમ સક્રિય થતાં રાજ્યમાં સપ્ટેમ્બરના અંત સુધી વરસાદની શક્યતા છે. બીજી તરફ હવામાન વિભાગે આગામી ૨૪ કલાક દરમિયાન ગુજરાતના જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથમાં મધ્યમ વરસાદની આગાહી કરી છે. આગામી ત્રણ કલાક દરમિયાન અમદાવાદ, મહેસાણા, ગાંધીનગર, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહિસાગર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, દાહોદ, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, સુરેન્દ્રનગર , રાજકોટ, અમરેલી, બોટાદ, ભાવનગર, કચ્છ અને દીવ જિલ્લામાં હળવા વરસાદની સંભાવના છે.
ગુજરાતમાં ભારે વરસાદને કારણે ભરૂચના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. નિકોરા ગામના નીચાણવાળા વિસ્તારમાં લોકો ફસાયેલા છે. એનડીઆરએફની ટીમે બચાવ કામગીરી હાથ ધરી હતી અને કેટલાંક લોકોને સલામત સ્થળે પહોંચાડ્યા છે. આ ઉપરાંત નર્મદા નદી પર બનેલા સરદાર સરોવર ડેમના 23 દરવાજા ખોલીને પાણી છોડવામાં આવ્યું છે. ત્યાર બાદ તેના જળસ્તરમાં 10 લાખ ક્યુસેકનો ઘટાડો થયો છે.
Advertisement