અમદાવાદઃ પીએમ મોદીની અમેરિકા મુલાકાત ઘણી રીતે શાનદાર રહી છે. આ બધાની વચ્ચે વ્હાઇટ હાઉસના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગલુરુ અને અમદાવાદમાં બે નવા કોન્સ્યુલેટ ખોલશે. બીજી તરફ, લોકો વચ્ચેના સંબંધોને વધારવા માટે ભારત સિએટલમાં એક મિશન પણ સ્થાપશે. અધિકારીએ જણાવ્યું કે અમેરિકાએ ગયા વર્ષે ભારતીય વિદ્યાર્થીઓને 125,000 વિઝા આપ્યા હતા. ગયા વર્ષે 20 ટકાની વૃદ્ધિ સાથે ભારતીય વિદ્યાર્થીઓ યુનાઇટેડ સ્ટેટ્સમાં સૌથી મોટો વિદેશી વિદ્યાર્થી સમુદાય બનવા તરફ આગળ વધી રહ્યો છે.
Advertisement
Advertisement
અધિકારીએ કહ્યું કે અમેરિકા બેંગાલુરુ અને અમદાવાદમાં નવા દૂતાવાસ ખોલવા માંગે છે. ભારત સિએટલમાં તેનું કોન્સ્યુલેટ પણ ખોલશે. અધિકારીએ એમ પણ કહ્યું કે યુએસ સ્ટેટ ડિપાર્ટમેન્ટ આ વર્ષના અંતમાં કેટલાક એપ્લિકેશન આધારિત કામચલાઉ વર્ક વિઝાના સ્થાનિક નવીનીકરણ અંગે નિર્ણય લેવા માટે એક પાઇલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યું છે. ભારતના હાલ પાંચ કોન્સ્યુલેટ છે. આ દૂતાવાસો ન્યુયોર્ક, સાન ફ્રાન્સિસ્કો, શિકાગો, હ્યુસ્ટન અને એટલાન્ટામાં આવેલા છે. ભારતની રાજધાનીમાં આવેલી યુએસ એમ્બેસી વિશ્વના સૌથી મોટા યુએસ રાજદ્વારી મિશનો પૈકી એક છે.
ગુજરાત સરકારે માંગણી કરી હતી
આપને જણાવી દઈએ કે ગુજરાત સરકારે કેન્દ્ર સરકારને ગુજરાતમાં અમેરિકન વાણિજ્ય દૂતાવાસ સ્થાપવા માટે અમેરિકા સાથે વાત કરવાની વિનંતી કરી હતી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ અમેરિકાને ગુજરાતને કોન્સ્યુલેટ આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. કેટલાંક દાયકાઓથી પડતર રહેલો આ મુદ્દો રાજ્ય સરકાર દ્વારા ટ્રમ્પની મુલાકાત દરમિયાન પણ ઉઠાવવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે અમેરિકામાં મોટી સંખ્યામાં ગુજરાતીઓ વસે છે તેને ધ્યાનમાં રાખીને આ માંગણી કરવામાં આવી હતી.
આ મોટો ફાયદો હશે
હાલ, ભારતમાં નવી દિલ્હી, ચેન્નાઈ, હૈદરાબાદ, કોલકાતા અને મુંબઈમાં યુએસ કોન્સ્યુલેટ છે. ગુજરાત, દીવ-દમણ અને દાદર નગર હવેલીમાંથી યુએસ વિઝા માટે અરજી કરનારા લોકોએ મુંબઈ જવું પડે છે. જો અમદાવાદમાં આ કોન્સ્યુલેટ ખુલશે તો ગુજરાતીઓએ દર વખતે યુએસ વિઝા માટે મુંબઈ નહીં જવું પડે.
Advertisement