ગાંધીનગર: રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ગઈકાલે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં 22 ઈંચ વરસાદ બાદ જળાશયો ઓવરફ્લો થઈ ગયા છે. ઘણી જગ્યાએ પાણી ભરાઈ જવાની સ્થિતિ સર્જાઈ હતી અને વાહનો ડૂબી ગયા હતા, છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 176 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે. વેરાવળમાં 19 ઇંચ વરસાદ વરસ્યો હોવાની માહિતી સામે આવી રહી છે. અમદાવાદ સહિત અનેક જિલ્લાઓમાં આજે સવારે હળવાથી મધ્યમ વરસાદ થયો હતો.
Advertisement
Advertisement
રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી બાદ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે, છેલ્લાં 24 કલાકની વાત કરીએ તો 176 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં 5 તાલુકામાં 10 થી 22 ઈંચ, 11 તાલુકામાં 3 ઈંચથી 5 ઇંચ વરસાદ નોંધાયો છે. 5 તાલુકામાં 2 થી 3 ઇંચ વરસાદ નોંધાયો છે. આજે સવારે અમદાવાદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. ગઈકાલે ગીર સોમનાથ જિલ્લામાં ભારે વરસાદ પડ્યો હતો જેના કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા. આ ઉપરાંત નદીઓ અને નહેરોમાં પણ ગાબડાં પડ્યાં છે.
રાજકોટ સિંચાઈ વિભાગના જણાવ્યા મુજબ ભારે વરસાદને પગલે ધોરાજી તાલુકાના ભાદર-2 ડેમના 6 દરવાજા 4 ફૂટ ખોલી 31590 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. તેના કારણે ધોરાજી તાલુકા અને ઉપલેટા તાલુકાના ડુમિયાણી, ચીખલીયા, સમઢીયાળા, ગણોદ, ભીમોરા, ગડા, ગાંદોદ, હાડફોડી, ઇસરા, કુંડેક, લાઠ, મેલી મજેઠી, નિલખા, તલગાણા સહિતના ગામોમાં રહેતા લોકોને સાવચેત રહેવા ચેતવણી આપવામાં આવી છે.
હવામાન વિભાગે આગામી પાંચ દિવસ સુધી રાજ્યમાં વ્યાપક વરસાદની આગાહી કરી છે. આ દિવસોમાં કેટલાંક જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના પણ વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે આજે સુરત, ભરૂચ, ગીર સોમનાથ, જૂનાગઢ અને અમરેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની સંભાવના છે. જ્યારે રાજ્યના અન્ય ભાગોમાં પણ સામાન્ય વરસાદ રહેશે.
Advertisement