અમદાવાદઃ ગુજરાતના રાજ્યસભાના સાંસદો, વિદેશ મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. રાજ્યમાં આ ત્રણેય બેઠકો માટે આ મહિને 24 જુલાઈએ ચૂંટણી યોજાશે. વિદેશ મંત્રી એસ જયશંકરે આજે 12.39ના વિજય મુહૂર્તમાં ભાજપના રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉમેદવારી પત્ર ભર્યું હતું. આ પ્રસંગે પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્ય મંત્રીમંડળના સભ્યો અને સાંસદો તથા ધારાસભ્યો ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાત ભાજપે હજુ બે અન્ય નામો પર સસ્પેન્સ અકબંધ રાખ્યું છે. બીજી તરફ કોંગ્રેસે ચૂંટણી નહીં લડવાની જાહેરાત કરી છે.
Advertisement
Advertisement
વિદેશ મંત્રી એસ. જયશંકરે ગાંધીનગરમાં રાજ્યસભાની આગામી ચૂંટણી માટે પોતાની ઉમેદવારી નોંધાવી હતી. આ પ્રસંગે તેમણે મીડિયા સાથે વાત કરતાં કહ્યું કે મેં હમણાં જ મારું ઉમેદવારી પત્ર ભર્યું છે અને હું ફરીથી ભાજપનો ઉમેદવાર બન્યો છું. હું પીએમ મોદી, ગુજરાતની જનતાનો આભાર વ્યક્ત કરું છું. છેલ્લાં 4 વર્ષમાં મને પીએમ મોદીના નેતૃત્વમાં દેશમાં થયેલા પરિવર્તનનો ભાગ બનવાની તક મળી. મને આશા છે કે આગામી 4 વર્ષમાં દેશમાં જે પણ પ્રગતિ થશે તેમાં હું યોગદાન આપી શકીશ. છેલ્લાં 4 વર્ષમાં હું ગુજરાતમાંથી ઘણું શીખ્યો છું.
કોંગ્રેસ ચૂંટણી નહીં લડે
કોંગ્રેસે ગુજરાતમાંથી રાજ્યસભાની ખાલી પડેલી ત્રણ બેઠકો માટે નોમિનેશન મોકૂફ રાખ્યું છે. ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ જોઈએ તો પાર્ટીએ રાજ્યસભાની ચૂંટણી લડવી હોય તો 182 બેઠકોના આધારે તેની પાસે ઓછામાં ઓછાં 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. પરંતુ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. તેથી હવે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાશે.
ચૂંટણી ક્યારે યોજાશે?
કેન્દ્રીય ચૂંટણી પંચે રાજ્યસભાની ચૂંટણીની તારીખ જાહેર કરી દીધી છે. ગુજરાતની ત્રણ સહિત રાજ્યસભાની 10 બેઠકો પર આગામી 24 જુલાઈએ ચૂંટણી યોજાશે, જેના માટે 13 જુલાઈ ઉમેદવારો માટે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હશે. ફોર્મ ભર્યા બાદ 14મી જુલાઈના રોજ ફોર્મની ચકાસણી કરવામાં આવશે અને 14મી જુલાઈ જ ફોર્મ પરત ખેંચવાની છેલ્લી તારીખ છે. 24મી જુલાઈના રોજ સવારે 9 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી મતદાન થશે અને સાંજે 5 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને એ જ દિવસે પરિણામ જાહેર થશે.
Advertisement