અમદાવાદઃ ગુજરાતમાં આખો ઓગસ્ટ મહિનો કોરો કાઢ્યા બાદ સપ્ટેમ્બરના મધ્યમાં ફરી એક વખત મેઘરાજાએ મહેર શરૂ કરી છે. આખો ઓગસ્ટ વરસાદ ન પડતાં ખેડૂતોના પાકને મોટું નુકસાન જવાનો ભય સેવાઈ રહ્યો હતો. જોકે, સપ્ટેમ્બરના મધ્યથી જ વરસાદે ફરીવાર પધરામણી કરતાં ખેડૂતોમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ છે. બીજી બાજુ રાજ્યમાં વરસાદની 20 ટકાથી વધુ ઘટ હતી. જે હવે ફરી વખત થયેલા વરસાદને લીધે ઘટી ગઈ છે. રાજ્યમાં ચોમાસાની આ સિઝનનો 95 ટકાથી વધુ વરસાદ થઈ ચૂક્યો છે. હવામાન નિષ્ણાતોના મત મુજબ ગુજરાતમાં 40 ઈંચ વરસાદની જરૂર હોય છે તેની સામે 32 ઈંચ વરસાદ નોંધાઈ ચૂક્યો છે.
Advertisement
Advertisement
સરદાર સરોવર યોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો
રાજ્યમાં તેમજ ઉપરવાસમાં થયેલા વરસાદના પરિણામે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર પરિયોજનામાં ૧૦૦ ટકા જળસંગ્રહ નોંધાયો છે. જેના પરિણામે સરદાર સરોવર ડેમના તમામ દરવાજા ખોલવામાં આવ્યા છે. સ્ટેટ ફ્લડ કન્ટ્રોલ સેલ, ગાંધીનગર મુજબ રાજ્યની મહત્વની ૨૦૭ જળ પરિયોજનાઓમાં ૯૩.૩૦ ટકા જેટલો જળસંગ્રહ થયો છે. તેમાં સરદાર સરોવર યોજનામાં કુલ જળસંગ્રહ શક્તિના ૧૦૦ ટકા જેટલો સંગ્રહ થયો છે. રાજ્યની અન્ય ૨૦૬ જળ પરિયોજનાઓમાં કુલ જળસંગ્રહ શક્તિના ૮૯.૨૯ ટકા જેટલો જળસંગ્રહ નોંધાયો છે.
૨૮ જળાશયોમાં ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો
રાજ્યના કુલ ૨૮ જળાશયોમાં (સરદાર સરોવર સહિત) ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયો છે. ૧૧૧ જળાશયોમાં ૭૦ ટકાથી ૧૦૦ ટકા, ૩૦ જળાશયોમાં ૫૦ ટકાથી ૭૦ ટકા, ૨૩ જળાશયોમાં ૨૫ ટકાથી ૫૦ ટકા જ્યારે ૧૪ જળાશયોમાં ૨૫ ટકા કરતાં ઓછો જળસંગ્રહ થયો છે. ઝોન પ્રમાણે જોતાં ઉત્તર ગુજરાતના ૧૫ જળાશયોમાં ૭૫.૬૭ ટકા, મધ્ય ગુજરાતના ૧૭ જળાશયોમાં ૯૨.૧૧ ટકા, દક્ષિણ ગુજરાતના ૧૩ જળાશયોમાં ૯૫.૮૯ ટકા, કચ્છના ૨૦ જળાશયોમાં ૫૯.૫૩ ટકા તથા સૌરાષ્ટ્રના ૧૪૧ જળાશયોમાં ૭૮.૭૭ ટકા જેટલો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં 27 જળાશયો હાઈ એલર્ટ પર
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં થઈ રહેલા વરસાદના પરિણામે ૧૦૦ ટકાથી વધુ જળસંગ્રહ થયેલા ૨૭ જળાશયો તથા ૯૦ ટકાથી ૧૦૦ ટકા જળસંગ્રહ થયેલા ૬૩ જળાશયો મળી કુલ ૯૦ જળાશયો હાઈ એલર્ટ પર છે. જયારે ૮૦ ટકાથી ૯૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૮ જળાશયો એલર્ટ પર અને ૭૦ ટકાથી ૮૦ ટકા જળસંગ્રહ ધરાવતા ૨૦ જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
Advertisement