તુંવર મુજાહિદ; એક કેસમાં પોલીસ સાથે ત્રણથી ચાર દિવસ સુધી ફરવાનું થયું. મારી કારકિર્દીમાં પ્રથમ વખત એવું બન્યું કે મને પોલીસ સાથે મળીને એક કેસ પર કામ કરવાની તક મળી. કેસ એવો છે કે એક પરણેલો છોકરો અન્ય એક પરણેલી છોકરીને લઈને ભાગી ગયો. પરંતુ સૌથી મોટો બખેડો એ હતો કે છોકરો મુસ્લિમ અને છોકરી હિન્દુ હતી. બસ આટલું જ પૂરતું હતુ ગામનું વાતાવરણ ડહોળવા માટે. વર્ષોથી હિન્દુ-મુસ્લિમ ભારતવર્ષમાં ભાઈચારા સાથે રહેતા આવ્યા છે પરંતુ અત્યારે એવો સમય લાવી દેવામાં આવ્યો છે કે, બંને કટ્ટર છે. જોકે તે વાત સત્ય નથી માત્ર એક કૃત્રિમ માહોલ બનાવવામાં આવ્યો છે. આ માહોલ કોને ફાયદો પહોંચાડે છે તે જણાવવાની જરૂર નથી કેમ કે તે બધા જ જાણે છે.
Advertisement
Advertisement
ખેરાલુના ડભાડ ગામની આ ઘટનાએ આખા ગામ લોકોને ચિંતામાં મૂકી દીધા હતા. કેમ કે આ ગામમાં પ્રથમ વખત એવું બન્યું હતુ કે, કોઈ મુસ્લિમ છોકરો અને છોકરી પોતાની મરજીથી ભાગી ગયા હતા. પરંતુ ચિંતાનો વિષય તે હતો કે આ વાતનો ફાયદો ઉઠાવીને અરાજકતા ફેલાવનારા લોકોને ભાવતું મળી ગયું હતું. તેઓ ગામના છોકરી પક્ષના લોકોને ઉશ્કેરવા માટે મોટી સંખ્યામાં તેમની પાસે પહોંચવા લાગ્યા હતા. અસામાજિક તત્વોની ગામમાં તોફાનો કરાવવાની ઈચ્છા ત્યારે મરી પરવારી જ્યારે છોકરી પક્ષના લોકો હિંસા ફેલાવવા માટે જરા પણ તૈયાર થયા નહીં. તેમને રમખાણ કરાવવા માટે આવેલા લોકોને ચોખ્ખું સંભળાવી દીધું કે આ અમારા ગામની અને અમારા પરિવારની સમસ્યા છે અને અમે તેનો ઉકેલ ભેગા મળીને લાવીશું.
તો બીજી તરફ પોલીસ પાસે બજરંગ દળ જેવા સંગઠનો આ કેસને લઈને રેલી યોજવાની મંજૂરી લેવા માટે પણ પહોંચી ગયા હતા. જોકે, દૂરદ્રષ્ટિ ધરાવતા પીઆઈ જયેશ ભરવાડે તેની પરવાનગી ન આપીને આગમાં ઘી રેડવાનું કામ અટકાવી દીધું તો અને તેમને અલગ-અલગ ટીમો બનાવીને છોકરી-છોકરાને શોધવાનું અભિયાન પણ ખુબ જ ઝડપી ગતિએ શરૂ કરી દીધું.
અસામાજિક તત્વો આ ઘટનાને લવ જેહાદના કેસમાં ખપાવવા લાગ્યા હતા. પરંતુ લવ જેહાદની વ્યાખ્યા તેઓ જાણતા નહતા. ઘણા કિસ્સા એવા હોય છે, જેમાં યુવક પોતાની ઓળખ છૂપાવીને છોકરીને પોતાના પ્રેમમાં ફસાવે છે અને લગ્ન કરી લે છે અને પાછળથી તેનો ધર્મ પણ પરિવર્તન કરાવી દેવામાં આવતો હોય છે, તેવા કેસને લવ જેહાદનું નામ આપવામાં આવ્યું છે. પરંતુ આ કેસમાં તો બંને જણા જન્મજાત થી જ એકબીજાને ઓળખતા હતા, તેથી એકબીજાને અંધારામાં રાખવાની વાત જ આવતી નહતી. જે પણ થયું તે બંનેની સહમતિથી થયું પરંતુ સમાજમાં જે વાતની અસ્વીકૃતિ છે તેને જોતા તેમનું પગલું અસ્વીકાર્ય હતું.
જોકે, આ બંનેના ભાગી જવાથી ચોક્કસ રીતે ગામમાં એક ડરનો માહોલ ઉભો થઈ ગયો હતો. આ ડરનો માહોલ બહારના અસામાજિક તત્વો દ્વારા ગામ લોકોને નુકશાન પહોંચાડવાને લઈને હતું. આ બાબતની ગંધ પીઆઈ જયેશ ભરવાડને પણ આવી ગઈ હતી. તેથી તેઓ તેમના વિસ્તારમાં કોઈ બીજી અનિચ્છનિય ઘટના ન ઘટે તેથી વ્હેલી તકે ભાગી છૂટેલા બંને આરોપીઓને પકડવાનો પ્લાન બનાવી દીધો હતો.
આ પ્લાનના ભાગરૂપે પોલીસની એક ટીમને અમદાવાદ મોકલી આપી, કેમ કે તેમને કોલ ટ્રેસિંગ થકી માહિતી મળી હતી કે, તેઓ અમદાવાદ ગયા છે. જોકે, મુશ્કેલી તે આવી રહી હતી કે, તેમનો કોઈ ચોક્કસ લોકેશન મળી રહ્યો નહતો. કેમ કે તે દરમિયાન આરોપી પોતાનો મોબાઈલ નંબર બદલી રહ્યો હતો અને તેનો કાયમી મોબાઈલ નંબર સતત બંધ આવી રહ્યો હતો. તેવી વિપરીત સ્થિતિમાં પણ પોલીસની એક ટીમ અમદાવાદના જુહાપુર અને સરખેજ વિસ્તારની ગલીઓને ફેંદી વળી હતી. સવારથી લઈને આખી રાત સુધી પોલીસની ટીમ અમદાવાદના જુહાપુરા, સરખેજ, દાણી લીમડા, શાહ આલમ જેવા વિસ્તારોમાં આરોપીને શોધતી રહી પરંતુ અંતે નિષ્ફળતા જ હાથ લાગી.
ત્રીજા દિવસે પીઆઈ જયેશ ભાઈએ પૂછપરછ કરીને આરોપીના અન્ય કેટલાક મોબાઈલ નંબરો શોધી કાઢ્યા અને એક વખત ફરીથી તેમને પકડવાની એક કડી મળી આવી. આ વખતે આરોપી બનાસકાંઠાના રાધનપુરમાં હોવાનું સામે આવ્યું. તો એક ટીમને ફટોફટ રાધનપુર મોકલી દેવામાં આવી પરંતુ ગમે તે કોઈ કારણોસર આરોપીને પોલીસની ગંધ આવી ગઈ અને તેનો અડધો સામાન ત્યાંના એક ઘરમાં જ છોડીને ફરાર થઇ ગયો. અહીંથી આરોપી વધારે સાવચેત થઈ ગયો અને તેને પોતાના તમામ મોબાઈલ નંબરના કાર્ડ કાઢીને રાધનપુરમાં જ ફેંકી દીધા. જેથી પોલીસને કન્ફ્યૂઝ કરી શકાય. પરંતુ બીજી તરફ ખુબ જ બહોળો અનુભવ ધરાવતા જયેશ ભરવાડ પણ કંઇ એમ જ પીછો છોડીને હાર માને તેમાના ન હતા. તેમને સાંજ સુધીમાં ફરીથી તે આરોપીને ટ્રેસ કરી લીધો.
આ વખતે તેનું લોકેશન સાબરકાંઠાના હિંમતનગરમાં મળી ગઈ હતી. જોકે, ફરીથી મુશ્કેલી તેવી જ હતી કે પોલીસ પાસે તેનો કોઈ ચોક્કસ લોકેશન નહતો. હિંમતનગરમાં લાગેલા નેત્રમ કેમેરામાં આરોપી કેદ થઇ ગયો હતો. જયેશ ભરવાડે આ વખતે આરોપી તેમની પકડ માંથી છટકી જાય નહીં તે માટે એક મોટી ટીમને હિંમતનગર રવાના કરી. સંજય સિંહ પરમાર અને ફુલા ભાઈ રબારી જે પ્રથમ દિવસથી જ આરોપીના પાછળ લાગ્યા હતા, તેઓ ટીમને લીડ કરી રહ્યા હતા. અમદાવાદથી લઈને રાધનપુર સુધીના આરોપીના ચોક્કસ લોકેશન સુધી પહોંચવામાં આ બંને જમાદારની ખુબ જ મોટી ભૂમિકા હતી.
એક વખત ફરીથી સંજય સિંહ અને ફુલા ભાઈ સહિત અન્ય પાંચ કોન્સ્ટેબલ હિંમતનગર જવા માટે રવાના થઈ ગયા હતા. કોઈ ચોક્કસ લોકેશન ન હોવાના કારણે સતત બે દિવસ સુધી રાત-દિવસ જોયા વગર હિંમતનગરના પાંચથી વધારે વિસ્તારોને પગે ચાલીને ફેંદી વળ્યા. જોકે એક વખત ફરીથી આરોપી હાથમાં આવ્યો નહીં અને મોડાસા ભાગી ગયો હોવાના સમાચાર મળ્યા. ટીમ મોડાસા પહોંચે તે પહેલા આરોપી ફરીથી હિંમતનગરના કેમેરામાં કેદ થયાના સમાચાર મળતા તેથી ટીમ ફરીથી મોડાસાથી પરત હિંમતનગર આવવા નિકળી ગઈ. જણાવી દઈએ કે સંજય પરમાર અને ફુલા ભાઈ તો પાછલા પાંચ દિવસથી સતત આરોપીની પાછળ લાગેલા હતા, તેવામાં ઉજાગરાને કારણે તેમની આંખો લાલ થઈ ગઈ હતી અને થાકના કારણે શરીર પણ ઢિલું થવા લાગ્યું હતું. પરંતુ આ ખમીરવંતા હાર માને તેવા નહતા. થાકને જરા પણ મોઢા ઉપર આવવા દેતા નહતા. બસ એક જ વાત આરોપીને ગમે તેમ કરીને પકડી પાડવો… એક વખત ફરીથી ટીમ હિંમતનગર આવી ગઈ.
આ દરમિયાન જયેશ ભાઈ પોતે પણ હિંમતનગરમાં આવી ચૂક્યા હતા. પીઆઈ જયેશ ભરવાડને ખ્યાલ આવી ગયો હતો કે, આ આરોપી એક ઠેકાણે વધારે સમય રોકાતો નથી, તેથી તેમને નાકા બાંધવાનું વિચારી લીધું. તેમને ખરાઇ કરવા માટે ઇડર તરફ જતાં કેમરાને ચેક કરાવ્યું તો ખ્યાલ આવ્યો કે આરોપી તે તરફ જ ભાગ્યો છે. તેથી તેમને બનાસકાંઠાના દાંતા-અંબાજી અને પાલનપુર સુધી ટીમોને સ્ટેન્ડબાય રાખી હતી. તો બીજી તરફ ખેડબ્રહ્મા પણ સમાચાર મોકલી દીધા હતા. જોકે, આ ટીમો પોલીસની નહીં પરંતુ આરોપીના સગા-વ્હાલાઓની હતી. ચોક્કસ રીતે જે-તે વિસ્તારની લોકલ પોલીસ તેમને સાથ આપી રહી હતી.
જયેશ ભરવાડે વિચાર્યું તે પ્રમાણે જ આરોપી ઈડર-દાંતા અને અંબાજી થઈને પાલનપુર પહોંચી ગયો હતો. પરંતુ આરોપી પણ ખુબ જ શાતિર હતો. તેણે દાંતા અને અંબાજીમાં રહેલી ટીમોને તો ચકમો આપી દીધો અને પાલનપુર પહોંચી ગયો. પરંતુ પાલનપુરમાં તે પોતાના જ ભાઈના નજરમાં આવી ગયો અને પોલીસે તેને ઝડપી પાડ્યો. આમ છઠ્ઠા દિવસે આરોપીને પોલીસના હાથમાં આવી ગયો અને ડભાડ ગામના લોકોની ચિંતાનો અંત આવી ગયો.
હવે સૌથી મહત્વપૂર્ણ બાબત તે છે કે, ખેરાલુ પોલીસે આરોપીને પકડવા માટે તનતોડ મહેનત કરી અને તેનો શ્રેય પણ તેમને લીધો નહીં. કેમ કે અંતે તે પાલનપુર પોલીસના હાથે પકડાયો હતો. પરંતુ એક વાત તો નક્કી છે કે, આરોપીનો છ દિવસ અને રાત સુધી તો ખેરાલુ પોલીસે જ પીછો કર્યો. તે સમયે ન સુવાના ઠેકાણા હતા અને ન જમવાના ઠેકાણા હતા… નહાવા ધોવાની વાત તો ઘણી દૂરની વાત છે કેમ કે મૂત્ર વિસર્જન કરવાનો પણ સમય મળતો નથી. આ કેસમાં પોલીસ સાથે સતત હું ફરતો રહ્યો અને બધુ જોતો રહ્યો તો ખ્યાલ આવ્યો કે પોલીસ જવાનોનું જીવન ખરેખર એક પડકાર રૂપ છે.
દેશભરમાં આનાથી પણ ખતરનાક કેસ બનતા હોય છે અને તેને ઉકેલવા માટે પોલીસ સતત તેની પાછળ ભાગતી રહે છે. પોલીસ જવાનોનું જીવન અનિશ્ચિતત્તાઓથી ભરેલું છે. ઘરે જવા માટે નિકળ્યા હોય અને ફોન આવે કે ફલાણા આરોપીની માહિતી મળી છે. પોલીસ જવાનોના ઘરવાળાઓ જીવનભર તેમની ચોક્કસ સમયે ઘરે આવવાની રાહ જોતા જ રહેતા હશે પરંતુ તે કોઈ જ સમયે સમયસર ઘરે પહોંચી શકતા હશે.
પોલીસ શાંતિ બનાવી રાખવા માટે રાત-દિવસ એક કરી નાંખે છે, ઘર-પરિવાર, માતા-પિતા, પત્ની-બાળકો બધાથી દૂર સમાજની ચિંતા કરીને સતત ભાગતી રહે છે, તેવામાં પોલીસના વખાણ અને ઈજ્જત માત્ર તેમના ડરથી તેમના મોઢા ઉપર કરવાની જગ્યાએ તેમની પીઠ પાછળ કરીને તેમને સન્માનિત કરવા જરૂરી છે. તેઓ પોતાના જીવનના મહત્વપૂર્ણ સમયના હિસ્સાને પોતાના પરિવારની જગ્યાએ સમાજમાં શાંતિ સ્થાપિત કરવા માટે હસતા મોઢે સમર્પિત કરી દે છે.
સતત નિષ્ફળતા મળે તો પણ તેઓ સતત સકારાત્મક વિચાર કરે છે અને હાર માનતા નથી. તેઓ સમાજમાં પ્રેમ-શાંતિ બનાવી રાખવા માટે પોતાના જીવનને સમાજ ઉપર ન્યોછાવર કરી રહ્યાં છે. દેશ-રાજ્યના તમામ પોલીસ કર્મચારીઓને ગુજરાત એક્સક્લૂઝિવ સેલ્યુટ કરે છે, પરંતુ વર્તમાનમાં ખેરાલુ પોલીસના જવાનોને સેલ્યુટ કરવી જરૂરી છે.
Advertisement