ગુજરાત હાઈકોર્ટે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી (‘આપ’) ના રાજ્યસભાના સભ્ય સંજય સિંહ દ્વારા તેમની સામે ફોજદારી માનહાનિના કેસમાં ચાલી રહેલી અદાલતી કાર્યવાહી પર વચગાળાનો સ્ટે આપવાની અરજીને ફગાવી દીધી છે.
Advertisement
Advertisement
જસ્ટિસ સમીર જે દવેની બેન્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી અંગેના તેમના કટાક્ષ અને અપમાનજનક નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરાયેલ ફોજદારી માનહાનિના કેસમાં મેટ્રોપોલિટન કોર્ટ દ્વારા ટ્રાયલ પર વચગાળાનો સ્ટે માંગતી ‘આપ’ નેતાઓની અરજી ફગાવી દીધી હતી. બેન્ચે અરવિંદ કેજરીવાલના વકીલ અને પીપી મિતેશ અમીનની દલીલો સાંભળ્યા બાદ શુક્રવારે આ આદેશ આપ્યો હતો.
અમદાવાદની એક મેટ્રોપોલિટન કોર્ટે અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની શૈક્ષણિક ડિગ્રી અંગેના વિવાદના સંદર્ભમાં તેમના કથિત બદનક્ષીભર્યા નિવેદનો બદલ ગુજરાત યુનિવર્સિટી દ્વારા દાખલ કરવામાં આવેલા માનહાનિના કેસમાં અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહને 11 ઓગસ્ટે હાજર રહેવા માટે સમન્સ પાઠવ્યા હતા. આ અગાઉ અમદાવાદની સિટી સિવિલ એન્ડ સેશન્સ કોર્ટે 5 ઓગસ્ટના રોજ રિવિઝન પિટિશનના નિકાલ સુધી ટ્રાયલની કાર્યવાહી પર રોક લગાવવાની તેમની અરજી ફગાવી દીધી હતી. આ આદેશને પડકારતાં ‘આપ’ના બંને નેતાઓએ ગુજરાત હાઈકોર્ટનો સંપર્ક કર્યો હતો. તેમણે કોર્ટને રિવિઝન પિટિશનની વહેલી સુનાવણી માટે અદાલતને નિર્દેશ આપવા અનુરોધ પણ કર્યો હતો.
શું છે મામલો ?
પીએમની ડિગ્રી વિશે માહિતી માંગવાનો કેસ સાત વર્ષ જૂનો છે. હકીકતે એપ્રિલ 2016માં સેન્ટ્રલ ઇન્ફર્મેશન કમિશને કેજરીવાલ પાસેથી તેમના ઇલેક્ટોરલ ફોટો આઇડેન્ટિટી કાર્ડ (EPIC)અંગે માહિતી માંગી હતી. દરમિયાન, કેજરીવાલે કમિશનને કહ્યું હતું કે તેઓ સીઆઈસીને પોતાના વિશે જરૂરી માહિતી આપવા માટે તૈયાર છે, પરંતુ સાથે એમ પણ કહ્યું હતું કે પીએમને પણ તેમની શૈક્ષણિક ડિગ્રીની વિગતો જાહેર કરવા માટે કહેવું જોઈએ. કેજરીવાલના જવાબને સીઆઈસી દ્વારા એક નાગરિકની આરટીઆઈ અરજી તરીકે ગણવામાં આવ્યો હતો. આ પછી, તત્કાલિન મુખ્ય માહિતી કમિશનર એમ શ્રીધર આચાર્યુલુએ વડા પ્રધાન કાર્યાલયને પીએમ મોદીની દિલ્હી યુનિવર્સિટી અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સ્નાતક અને માસ્ટર્સ ડિગ્રીના ચોક્કસ નંબરો અને વર્ષની માહિતી માટે સૂચના આપી હતી. પીએમ સંબંધિત કોઈપણ દસ્તાવેજને શોધવામાં અને આપવામાં સરળતા રહે એટલા માટે આ આદેશ આપવામાં આવ્યો હતો.
ગુજરાત યુનિવર્સિટીએ ફરિયાદ નોંધાવી હતી
પોલીસે ગુજરાત યુનિવર્સિટીના રજિસ્ટ્રાર પિયુષ પટેલની ફરિયાદના આધારે આઈપીસીની કલમ 500 હેઠળ ગુનો નોંધ્યો હતો. ફરિયાદમાં કહેવામાં આવ્યું હતું કે અરવિંદ કેજરીવાલ અને સંજય સિંહે પ્રેસ કોન્ફરન્સમાં અને ટ્વિટર હેન્ડલ પર યુનિવર્સિટી વિરુદ્ધ અપમાનજનક ટિપ્પણી કરી હતી. તેનાથી પ્રતિષ્ઠિત સંસ્થાની છબીને નુકસાન પહોંચ્યું છે.
Advertisement