અમદાવાદઃ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ દાવો કર્યો છે કે ગુજરાતમાં આગામી લોકસભાની ચૂંટણી આપ અને કોંગ્રેસ સાથે મળીને લડશે. ઇસુદાન ગઢવીના આ દાવા પર હવે ગુજરાત કોંગ્રેસના પ્રવક્તાએ પ્રતિક્રિયા આપી છે. પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા ડૉ.મનીષ દોશીએ કહ્યું છે કે ગઠબંધન અંગેનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવે છે. ઉતાવળમાં આ પ્રકારનો નિર્ણય લેવામાં આવતો નથી.
Advertisement
Advertisement
ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસ પક્ષના ગઠબંધનનો મામલો હોય કે સીટો માટે ટિકિટનો મુદ્દો હોય, પ્રદેશ સ્તરે તેનો નિર્ણય લેવાનો કોઈને અધિકાર નથી. જ્યાં સુધી લોકસભાની ચૂંટણી ગઠબંધનમાં લડવાની વાત છે તો કોઈપણ પ્રકારના ગઠબંધનનો નિર્ણય દિલ્હી હાઈકમાન્ડ દ્વારા લેવામાં આવે છે, રાજ્ય સ્તરે કંઈ નક્કી થતું નથી.
‘આપ’ના ગુજરાત પ્રદેશ પ્રમુખે કર્યો હતો દાવો
આ અગાઉ આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે I.N.D.I.A.નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અમે હાલમાં રાજ્યમાં બેઠકોની તપાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે બેઠકો વહેંચીને ચૂંટણી લડીશું. ચૂંટણી I.N.D.I.A ગઠબંધન સાથે લડવામાં આવશે અને અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણય લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતી શકશે નહીં. BJP આ ગઠબંધનથી ડરી ગઈ છે અને તેઓ જાણે છે કે I.N.D.I.A ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને હરાવી દેશે. વડાપ્રધાનથી લઈને ભાજપના નેતાઓ પણ I.N.D.I.A.ની ટીકા કરી રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં છેલ્લી વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકો અને 13 ટકા મત મળ્યા હતા. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. તેમનો પક્ષ ગુજરાતમાં ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે ગુજરાત કોંગ્રેસ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠકો જીતી શકી હતી. આ કારમી હારનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવી પાર્ટીઓ દ્વારા કોંગ્રેસની વોટબેંકને તોડી પાડવાનો પ્રયાસ હતો.
Advertisement