અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 760 કિમી દૂર છે અને ચક્રવાતની દિશા હવે ગુજરાત તરફ છે ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિડીયો દ્વારા ડિઝાસ્ટર મેનેજમેન્ટની તૈયારીઓની સમીક્ષા કરી હતી. દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટર સાથેની બેઠકમાં મુખ્યમંત્રીએ ચક્રવાતની સંભવિત અસરો સામે શૂન્ય જાનહાનિના અભિગમ સાથે તમામ જિલ્લાઓ દ્વારા કરવામાં આવેલા આયોજનની વિગતો મેળવી હતી. સીએમ ભૂપેન્દ્ર પટેલે 13 દરિયાકાંઠાના જિલ્લાઓના કલેક્ટરને સતર્ક રહેવા સૂચના આપી છે.
Advertisement
Advertisement
પ્રવાસીઓ માટે તિથલ બીચ – શિવરાજપુર બીચ બંધ
બીજી તરફ ચક્રવાત બિપરજોય અગાઉ વલસાડના અરબી સમુદ્ર કિનારે આવેલા તિથલ બીચ પર ઊંચા મોજા ઉછળી રહ્યા છે. ચક્રવાત બિપરજોયની ચેતવણી બાદ વલસાડ પ્રશાસન દ્વારા સાવચેતીના ભાગરૂપે તિથલ બીચને પ્રવાસીઓ માટે બંધ કરી દેવામાં આવ્યો છે. વલસાડના તાલુકદાર ટીસી પટેલના જણાવ્યા અનુસાર તેમણે માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યું હતું અને માછીમારો પરત ફર્યા છે. તેમણે ઉમેર્યું કે દરિયાકાંઠાના વિસ્તારના ગામોના લોકોને જરૂર પડ્યે સ્થળાંતર કરવામાં આવશે અને તેમના માટે આશ્રયસ્થાનો બનાવવામાં આવ્યા છે. 14મી જૂન સુધી તિથલ બીચ પ્રવાસીઓ માટે બંધ કરી દીધો છે. દરમિયાન, સંભવિત બિપરજોય વાવાઝોડાના કારણે દેવભૂમિ દ્વારકામાં આવેલો શિવરાજપુર બીચ પણ 15 જૂન સુધી પ્રવાસીઓ માટે સંપૂર્ણપણે બંધ કરવામાં આવ્યો છે.
દરમિયાન, સંભવિત વાવાઝોડા સંદર્ભે પોરબંદર, ગીર સોમનાથ અને વલસાડ ખાતે એક એક ટીમ એમ એનડીઆરએફની કુલ ત્રણ ટીમ મોકલવામાં આવી છે. જ્યારે એક એસ.ડી.આર.એફની ટીમ કચ્છ ખાતે મોકલી દેવામાં આવી છે.
હવામાન વિભાગે આપી ચેતવણી
ગુજરાતના અરબી સમુદ્રમાં સર્જાયેલા ચક્રવાતી તોફાનને લઈને હવામાન વિભાગ દ્વારા ચેતવણી જાહેર કરવામાં આવી છે. વાવાઝોડું ઉત્તર-ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે અને આગામી બે દિવસ સુધી તે દિશામાં જ આગળ વધે તેવી શક્યતા છે. 12 જૂન સુધી ગોવા, કર્ણાટક, કેરળના દરિયાકાંઠાના વિસ્તારોમાં તોફાની હવામાનની શક્યતા છે, જ્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારો માટે એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ચક્રવાતને કારણે આગામી 24 કલાકમાં ગુજરાતમાં ભારે પવન અને વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે. આગામી બે દિવસ 11 અને 12 જૂન સુધી રોરો-ફેરી સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ગુજરાત પર વાવાઝોડાનો ખતરો યથાવત
હાલ તો વાવાઝોડાની દિશા ગુજરાત તરફ છે, જે હજુ બે દિવસ ગુજરાત તરફની રહેશે. આ સાથે જ આગામી 36 કલાક સુધી સતત આંધી અને ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. ત્રણ દિવસ પછી તોફાનની દિશા બદલાય તેવી શક્યતા છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ વાવાઝોડું બિપરજોય પોરબંદરના દરિયાકાંઠાથી માત્ર 760 કિમી દૂર છે અને ચક્રવાતની દિશા હવે ગુજરાત તરફ છે.
Advertisement