અમદાવાદ: રાજ્યમાં છેલ્લાં કેટલાક દિવસોથી અવિરત વરસાદ પડી રહ્યો છે. દરમિયાન હવામાન વિભાગે આગામી દિવસોમાં કચ્છ અને મોરબીમાં ભારે વરસાદની આગાહી કરી છે. શુક્રવારથી વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા છે. ગુજરાતમાં સિઝનનો 100 ટકા વરસાદ થઈ ગયો છે. રાજ્યમાં આગામી બે દિવસ સુધી વરસાદી માહોલ જારી રહેશે.
Advertisement
Advertisement
હવામાન વિભાગે કચ્છ, જામનગર, પોરબંદર અને દેવભૂમિ દ્વારકામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે કચ્છ અને મોરબીમાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ પડશે. હવામાન વિભાગનો અંદાજ છે કે રાજસ્થાન પર દબાણ સર્જાયું છે જે ઉત્તર તરફ આગળ વધ્યું છે, જેના કારણે તેની અસર ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં જોવા મળશે.
શુક્રવારથી વરસાદનું જોર ઘટશે
આ ઉપરાંત અમદાવાદમાં આગામી બે દિવસ હળવાથી મધ્યમ વરસાદ થવાની શક્યતા છે. ગુરુવારે કચ્છ, મોરબીમાં રેડ એલર્ટ અને બનાસકાંઠા પાટણ, સુરેન્દ્રનગર અને જૂનાગઢમાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે. શુક્રવારથી દબાણની અસર ઘટશે તેમ વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની પણ હવામાન વિભાગે આગાહી કરી છે.
દરમિયાન, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં કચ્છ જિલ્લાના લખપત તાલુકામાં સૌથી વધુ 7 ઈંચ વરસાદ વરસ્યો છે તેમજ આજે સવારે રાજ્યમાં 33 તાલુકામાં વરસાદ નોંધાયો છે. તેમાં આણંદ જિલ્લાના સોજીત્રામાં સૌથી વધુ વરસાદ નોંધાયો છે.
રાજ્યના 28 જળાશયો ઓવરફ્લો થયા છે
ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓ અને જળાશયોની સપાટીમાં વધારો થયો છે. રાજ્યના 28 જળાશયો ઓવરફ્લો થયા છે. 111 જળાશયોમાં 70 થી 100 ટકા પાણીનો સંગ્રહ થયો છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 75.69 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 92.11 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 95.89 ટકા, કચ્છના 20 જળાશયોમાં 59.53 ટકા અને સૌરાષ્ટ્રના 14 જળાશયોમાં 78.71 ટકા પાણીનો સંગ્રહ થયો છે. કુલ 90 જળાશયો હાઇ એલર્ટ પર છે, જેમાં 100 ટકાથી વધુ પાણીનો સંગ્રહ ધરાવતા 27 જળાશયો અને 90 ટકાથી 100 ટકા પાણી સંગ્રહ ધરાવતા 63 જળાશયોનો સમાવેશ થાય છે. જ્યારે 80 થી 90 ટકા પાણીનો સંગ્રહ ધરાવતા 28 જળાશયો એલર્ટ પર છે અને 70 થી 80 ટકા પાણીનો સંગ્રહ ધરાવતા 20 જળાશયોને સામાન્ય ચેતવણી આપવામાં આવી છે.
Advertisement