પાકિસ્તાન દ્વારા વધુ ૨૦૦ માછીમારોને મુક્ત કરવામાં આવતા તેઓ વાઘા બોર્ડર થઇ ખાસ ટ્રેન મારફત રવિવારે મોડી રાત્રે વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. વડોદરા રેલ્વે સ્ટેશન ઉપર આ માછીમારોનું સ્વાગત કરી વતનમાં આવકારવામાં આવ્યા હતા. મુક્ત કરાયેલા માછીમારોમાં ગુજરાતના ૧૭૧ માછીમારોનો સમાવેશ થાય છે. તેમાં સૌથી વધુ ૧૨૯ માછીમારો ગિર સોમનાથ જિલ્લાના છે. આ ઉપરાંત દેવભૂમિ દ્વારકાના ૩૧, જૂનાગઢના ૨, નવસારીના ૫ અને પોરબંદરના ૪ માછીમારોને પાકિસ્તાનના કરાંચીની જેલમાંથી મુક્તિ મળી છે. તેમની સાથે બિહારના ૩, દીવના ૧૫, મહારાષ્ટ્રના ૬ અને ઉત્તરપ્રદેશના ૫ માછીમારો પણ વર્ષો બાદ વતન પરત ફર્યા છે.
Advertisement
Advertisement
વડોદરા રેલ્વે સ્ટેશન ખાતે મત્સ્ય ઉદ્યોગ વિભાગના સમીર આરદેશણા સહિતના અધિકારીઓએ તેમને આવકાર્યા હતા અને બાદમાં તેમને ખાનગી બસ મારફતે વતનમાં મોકલવામાં આવ્યા હતા.
વર્ષ ૨૦૧૯થી ૨૦૨૨ દરમિયાન પાકિસ્તાનના સુરક્ષા દળો દ્વારા આ માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું હતું. અરબી સમુદ્રમાં માછીમારી કરતી વેળાએ બંદૂકની અણીએ આ માછીમારોનું અપહરણ કરીને તેમને પાકિસ્તાનની જેલમાં પૂરી દેવામાં આવ્યા હતા. રાજ્ય સરકારની કેન્દ્ર સરકારને રજૂઆતના પગલે કેન્દ્ર સરકારના રાજદ્વારી પ્રયાસોને કારણે આ માછીમારોને મુક્તિ મળી હતી.
આ માછીમારોને અમૃતસર સ્થિત વાઘા બોર્ડર ખાતે લાવવામાં આવ્યા હતા અને ભારતને સોંપવામાં આવ્યા હતા. માછીમારોની તબીબી તપાસ કરીને તેમનું વેરિફિકેશન કરવામાં આવ્યું હતું. આ માછીમારોને લેવા માટે રાજ્યના મત્સ્ય ઉદ્યોગ વિભાગ અને પોલીસની એક ટીમ પણ વાઘા બોર્ડર ખાતે ગઇ હતી. આ ટીમની સાથે આ ૨૦૦ સાગરખેડુઓ વડોદરા ખાતે આવી પહોંચ્યા હતા. અહીં તેમને ખાનગી બસ મારફતે વતનમાં મોકલવામાં આવ્યા હતા.
તાજેતરમાં જ ગુજરાતના ૧૮૧ જેટલા માછીમારોની પાકિસ્તાનની જેલમાંથી મુક્તિ બાદ વધુ ૨૦૦ સાગરખેડુઓ આઝાદ થતા તેમના પરિવારોમાં આનંદની લાગણી છવાઇ છે.
Advertisement