ભુજ: ચક્રવાત બિપરજોય વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ચક્રવાતની આફત વચ્ચે કચ્છમાં આજે સાંજે 5.05 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. તેનું એપી સેન્ટર ભચાઉથી 5 કિમી દૂર નોંધાયુ છે. ભૂકંપના કારણે હાલ કોઈ નુકસાનના સમાચાર નથી. પરંતુ લોકોમાં ભયનો માહોલ સર્જાયો છે.
Advertisement
Advertisement
રાજ્યમાં એક તરફ દરિયામાંથી આફત આવી રહી છે ત્યારે કચ્છમાં આ બીજી આફતે કચ્છની ધરતીને હચમચાવી દીધી છે. આજે સાંજે 5.05 કલાકે ભૂકંપના આંચકા અનુભવાતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. એક તરફ વાવાઝોડાને પહોંચી વળવા માટેની તૈયારીઓ અને બીજી તરફ ભારે વરસાદની સંભાવના વચ્ચે ભૂકંપના આંચકાએ લોકોને પરેશાન કરી દીધા છે.
કચ્છના 9 મોટા ગામો સંપૂર્ણ બંધ કરવાનો આદેશ
કચ્છ જિલ્લા કલેકટરે વાવાઝોડાની સંભવિત અસરને ધ્યાનમાં રાખીને પશ્ચિમ કચ્છના દયાપર, દોલતપર, પાંડો-વર્મનગર, માતાના મઢ, કોટડા જડોદર, નારાયણ સરોવર, નલિયા, કોઠારા, નખત્રાણા સહિતના 9 ગામોમાં 14મી જૂને રાત્રે 8 વાગ્યાથી 16 જૂન સુધી બજારો બંધ રાખવાનો આદેશ આપ્યો છે. 16 જૂને માત્ર જીવન જરૂરિયાતોને લગતી ચીજવસ્તુઓની દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.
ચક્રવાતી તોફાન બિપરજોય વિકરાળ સ્વરૂપ ધારણ કરીને ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલી છેલ્લી માહિતી મુજબ આવતીકાલે સાંજે 4 થી 8 દરમિયાન વાવાઝોડું કચ્છના દરિયાકાંઠે ત્રાટકશે. આ દરમિયાન, 125 થી 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેનો અર્થ એ કે તેના માર્ગમાં જે પણ આવશે તેને ચક્રવાત ઉખાડી નાખશે. સૌરાષ્ટ્ર અને કચ્છ સહિત ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.
Advertisement