અમદાવાદઃ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નિવેદન બાદ સમગ્ર દેશમાં યુનિફોર્મ સિવિલ કોડની ચર્ચા ચાલી રહી છે. આ મહિનાથી શરૂ થઈ રહેલા સંસદના ચોમાસુ સત્રમાં કેન્દ્ર સરકાર તેને ગૃહમાં રજૂ કરે તેવી શક્યતા છે. એક બાજુ મુસ્લિમ સંગઠનો તેનો વિરોધ કરી રહ્યા છે તો બીજી બાજુ રાજકીય પક્ષો આ મામલે અલગ-અલગ મત ધરાવી રહ્યાછે. AAPના કન્વીનર અરવિંદ કેજરીવાલે અગાઉ જ UCCને સમર્થન આપવાની જાહેરાત કરી દીધી છે. પરંતુ તેમના સમર્થનથી ગુજરાતમાં આપમાં વિભાજન થયું છે. ગુજરાતમાં UCCને AAPના સમર્થનથી આદિવાસી નેતાઓ નારાજ થયાં છે.
Advertisement
Advertisement
AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ કેન્દ્ર સરકાર દ્વારા લાવવામાં આવનાર યુનિફોર્મ સિવિલ કોડ (UCC)ના મુદ્દા પર ચર્ચા કરવા નર્મદા જિલ્લાના રાજપીપળા ખાતે ગુજરાતભરના આદિવાસી સમુદાયના આગેવાનો સાથે ટાઉન હોલ ખાતે બેઠક યોજી હતી. આમ આદમી પાર્ટીના તમામ આદિવાસી નેતાઓ અને આદિવાસી સમાજના આગેવાનોએ વિરોધ કર્યો અને ભવિષ્યમાં દેશવ્યાપી સંઘર્ષની વ્યૂહનીતિ તૈયાર કરી હતી.
આ પ્રસંગે ગુજરાતના આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાએ મહત્ત્વનું નિવેદન આપતાં કહ્યું હતું કે અમે આદિવાસી સમાજ સાથે ઉભા છીએ અને ભવિષ્યમાં પણ સાથે ઊભા રહીશું. ડ્રાફ્ટ તૈયાર થયા પછી પણ અમારી આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ UCCને સમર્થન આપશે તો હું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી દઈશ. આપના ધારાસભ્ય ચૈતર વસાવાના જણાવ્યા અનુસાર બંધારણમાં આદિવાસી સમાજને કેટલાંક વિશેષ અધિકારો આપવામાં આવ્યા છે. આપણા સમાજમાં લગ્નની પ્રથા, જન્મ અને મૃત્યુને લગતી પરંપરા અલગ છે. આ ઉપરાંત, બે પત્નીઓ રાખવા જેવી પરંપરાઓ છે.
ઉલ્લેખનીય છે કે, નાંદોદથી વિધાનસભાની ચૂંટણી લડનારા આમ આદમી પાર્ટીના નેતાઓને ઘણાં મત મળ્યા હતા. પ્રફુલ વસાવાએ અરવિંદ કેજરીવાલને પત્ર લખીને રાજીનામું આપી દીધું છે. યુનિફોર્મ સિવિલ કોડને લઈને ગુજરાતમાં પક્ષ બે ભાગમાં વહેંચાઈ ગયો છે. વધુમાં, AAP ધારાસભ્યોએ આ કાયદા વિરુદ્ધ ગુજરાતના આદિવાસી સમાજને સંગઠિત કરવાનો પ્રયાસ હાથ ધર્યો છે.
Advertisement