ડમીકાંડ મામલે ગઈકાલે યુવરાજસિંહ જાડેજાની ધરપકડ બાદ હવે યુવરાજસિંહના સાળા કાનભા ગોહિલની SOGની ટીમે સુરતથી ધરપકડ કરી છે. યુવરાજસિંહના સાળાની ધરપકડ બાદ ભાવનગર પોલીસને જાણ કરવામાં આવી હતી. SOGની ટીમ તેના સાળાને લઈને ભાવનગર જવા રવાના થઈ છે.
ડમી કાંડ મામલે ભાવનગર SOG દ્વારા યુવરાજસિંહની 10 કલાક લાંબી પૂછપરછ કર્યા બાદ તેમની અને અન્ય લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો.
આજે યુવરાજસિંહના સાળા કાનભાની ધરપકડ સુરતથી કરાઈ છે. SOGની ટીમે કાનભા ગોહિલ ઉર્ફે કૃષ્ણદેવ સિંહની ધરપકડ કરી છે. આ અગાઉ યુવરાજસિંહ પર ભાવનગરના બિપિન ત્રિવેદીએ ડમી કાંડમાં સામેલ લોકોના નામ ન લેવા અંગે રુપિયા લેવાનો આરોપ લગાવ્યો છે.
આ મામલે ભાવનગર રેન્જ આઈજીએ જણાવ્યું કે, ડમી કાંડ મામલે યુવરાજસિંહ સામે હવે ખંડણી સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે યુવરાજસિંહ સામે ભાવનગરના નીલબાગ સ્ટેશનમાં ગુનો નોંધ્યો છે. યુવરાજસિંહની ગઈકાલે મોડી રાત્રે એક વાગ્યાની આસપાસ ભાવનગર એસઓજી દ્વારા ધરપકડ કરાઈ છે. આ મામલે નીલબાગ પોલીસ યુવરાજસિંહને લઈને કોર્ટ જવા રવાના થઈ છે. પોલીસ યુવરાજસિંહના રિમાન્ડની માંગ કરશે. આ ડમી કાંડ મામલે SITની રચના કરીને તપાસ કરવામાં આવી રહી છે.
આ મામલે યુવરાજસિંહ દ્વારા 36 નામ જાહેર કરાયા હતા. ફરિયાદનો આંકડો 40 પર પહોંચી ગયો છે. આ મામલે અત્યાર સુધી 14 જેટલા લોકોની ધરપકડ કરાઈ છે.
Advertisement