અરબી સમુદ્રમાંથી ઉદભવેલું ચક્રવાત બિપરજોય ગુરુવારે સાંજે ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે ત્રાટક્યું હતું. ચક્રવાતી તોફાન કચ્છના જખૌ બંદરે ટકરાયા બાદ આગળ વધ્યું છે. પરંતુ ગુરુવારની રાત કચ્છ અને સૌરાષ્ટ્રના લોકો માટે ખૂબ જ જોખમી હતી. ચક્રવાત બિપરજોયે કચ્છ અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે. લેન્ડફોલ બાદ અનેક જગ્યાએ વીજપોલ તૂટી ગયા છે. વાવાઝોડાની તબાહી બાદ હવે રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. ભાવનગરમાં 2 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
Advertisement
Advertisement
15 જૂનની સાંજે, ચક્રવાત બિપરજોય ગુજરાતના જખૌ બંદર પર ત્રાટક્યું હતું. તે દરમિયાન પવનની ગતિ 115 થી 125 કિમી પ્રતિ કલાકની હતી, કેટલીક જગ્યાએ તો તેના કરતાં પણ વધુ ઝડપ નોંધાઈ છે. લેન્ડફોલ બાદ અનેક જગ્યાએ વીજળીના થાંભલા તૂટી પડ્યા હતા. જેના કારણે માળીયા તાલુકાના 45 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે. ગ્રામ્ય વિસ્તારોમાં 300 થી વધુ વીજ થાંભલા પડી ગયા હોવાનું જાણવા મળે છે. જોકે પૂર્વ તૈયારીઓ બાદ અનેક ગામોમાં વીજળી પુનઃસ્થાપિત કરવામાં આવી છે. અન્ય સ્થળોએ પણ વિદ્યુત વિભાગ કાર્યરત છે. ભાવનગર જિલ્લામાં પૂરમાં ફસાયેલી બકરીઓને બચાવવા જતાં પિતા-પુત્રના મોત થયાની માહિતી સામે આવી છે.
ગુજરાતના રાહત કમિશનર આલોક પાંડેના જણાવ્યા અનુસાર, ચક્રવાતી તોફાન હાલ કચ્છ-પાકિસ્તાન સરહદને સ્પર્શી રહ્યું છે અને પવનની સરેરાશ ઝડપ 78 કિમી પ્રતિ કલાકની રહી છે. વીજપોલ ધરાશાયી થવાના કારણે ઘણી જગ્યાએ વીજળી નથી. IMDની આગાહી અનુસાર, તોફાન હવે દક્ષિણ રાજસ્થાન પહોંચશે અને ત્યાં વરસાદ પડશે. નીચાણવાળા વિસ્તારોમાં લોકોને એલર્ટ કરવામાં આવ્યા છે, પૂરની શક્યતા છે. ગુજરાતમાં વરસાદ થવાની સંભાવના છે, જેમાં કચ્છ, પાટણ, બનાસકાંઠામાં વધુ વરસાદ પડશે અને અન્ય સ્થળોએ પણ વરસાદ પડશે.
રાહત કમિશનર આલોક પાંડેએ જણાવ્યું કે ચક્રવાતને લીધે બનેલી અલગ અલગ ઘટનાઓમાં ૨૨ લોકોને ઇજા થઈ છે. આ ઉપરાંત, 23 પશુના મૃત્યુ થયાં છે. તેમણે ઉમેર્યું હતું કે વીજ પોલ પડવાના કારણે 490 ગામોમા વીજ પુરવઠાને અસર થઈ હતી. અસરગ્રસ્ત જિલ્લાઓમાં 524 વૃક્ષ પડી ગયા છે. વહીવટી તંત્ર દ્વારા આજથી સર્વેની કામગીરી હાથ ધરવામાં આવશે.
અમદાવાદના હવામાન વિભાગના ડિરેક્ટર મનોરમા મોહંતીના જણાવ્યા અનુસાર, VSCS (Very Severe Cyclonic Storm) રાત્રે 10:30-11:30 ની વચ્ચે દરિયાકાંઠો ઓળંગી ગયું છે. હવે તે SCS (Severe Cyclonic Storm)માં ફેરવાઈ ગયું છે. ચક્રવાત આજે બપોર સુધીમાં વધુ નબળું પડીને CS(Cyclonic Storm)માં પરિવર્તિત થવાની સંભાવના છે, સાંજ સુધીમાં તે વધુ નબળું પડી જશે. તેમણે ઉમેર્યું હતું કે હવે સમગ્ર ગુજરાતમાં વરસાદ પડશે.
Advertisement