અરબી સમુદ્રમાંથી ઉદ્ભવેલું ચક્રવાત બિપરજોય અત્યંત ભયાનક રૂપ ધારણ કરી ચૂક્યું છે. તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની નજીક આવી રહ્યું છે. આજે સવારે 05.30 વાગ્યાની સ્થિતિએ ચક્રવાત બિપરજોય પોરબંદરથી દક્ષિણપશ્ચિમે 300 કિ.મી, દેવભૂમિ દ્વારકાથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 290 કિ.મી, જખૌ બંદરથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 340 કિ.મી, નલિયાથી દક્ષિણ -દક્ષિણ પશ્ચિમે 350 કિ.મી અને પાકિસ્તાનના કરાચીથી દક્ષિણે 480 કિ.મી દૂર કેન્દ્રીત હતું. ચક્રવાત બિપરજોય નજીક આવી રહ્યું હોવાથી ગુજરાતમાં વરસાદની તીવ્રતા વધવાની સંભાવના હોવાનું ભારતીય હવામાન વિભાગ (IMD) દ્વારા જણાવાયું છે. ચક્રવાત બિપરજોય 15 જૂને કચ્છ જિલ્લા અને પાકિસ્તાનના કરાચી વચ્ચે ટકરાય તેવી શક્યતા છે.
Advertisement
Advertisement
કેન્દ્રીય આરોગ્યમંત્રી મનસુખ માંડવિયાએ ચક્રવાત બિપરજોયને પહોંચી વળવા કરાયેલી તૈયારીઓની સમીક્ષાબેઠક યોજી હતી. રાજ્ય મંત્રીમંડળના મંત્રીઓ સંભવિત અસર હેઠળના આઠ જિલ્લાઓમાં તૈયારીઓની દેખરેખ રાખી રહ્યા છે અને બેઠકો યોજી રહ્યા છે. દરમિયાન, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે બપોરે ચક્રવાત બિપરજોય અંગે દિલ્હીમાં ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજશે.
એન.ડી.આર.એફ.ની 21 તથા એસ.ડી.આર.એફ.ની 13 ટીમો તૈનાત
ચક્રવાત બિપરજોયથી ઉભી થનારી સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર પણ સજ્જ છે. દરિયાકાંઠાના જિલ્લાઓમાં એન.ડી.આર.એફ.ની 21 તથા એસ.ડી.આર.એફ.ની 13 ટીમો તૈનાત કરવામાં આવી છે. સુરક્ષા અને સલામતીના પગલાના ભાગરૂપે કચ્છ, પોરબંદર, જુનાગઢ, જામનગર, દેવભૂમિ-દ્વારકા, ગીર-સોમનાથ, મોરબી અને રાજકોટ એમ કુલ 8 જિલ્લાઓમાં 6827 લોકોને સલામત સ્થળે સ્થળાંતરિત કરાયા છે. આ ઉપરાંત, દરિયાઈ વિસ્તારના 8 જિલ્લાઓમાં નીચાણવાળા વિસ્તારો, દરિયાકિનારાથી 10 કિલોમીટર સુધીનાં ગામો તથા વૃદ્ધો બાળકોનું જરૂર-જણાયે સલામત સ્થળે સ્થળાંતરની વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.
રાજ્યના તમામ બંદરો પર ભયસૂચક સિગ્નલ લગાવી દેવાયા છે અને બંદરો બંધ કરી દેવાયા છે. સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે માર્ગ અને મકાન વિભાગની 95 ટીમો, ઊર્જા વિભાગની 577 ટીમો માર્ગ પરની આડશો, સમારકામ તથા વીજપુરવઠાની વિપરિત અસરો સામે પુનઃસ્થાપન માટે સજ્જ રખાઈ છે.
સૌરાષ્ટ્ર અને કચ્છમાં આજે હળવાથી ભારે વરસાદની શક્યતા
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠાના જિલ્લાઓમાં આજે કેટલાંક સ્થળોએ ભારે વરસાદ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. છેલ્લાં 24 કલાકમાં વેરાવળમાં સૌથી વધુ 10 ઈંચ, સૂત્રાપાડામાં 9, તાલાલામાં 4, કોડીનાર અને ઉનામાં 3-3 અને ગીર ગઢડામાં 2 ઈંચ વરસાદ નોંધાયો હતો. વેરાવળ પંથકમાં ભારે પવન સાથે વરસાદને લીધે નાળિયેરીના વૃક્ષો ધરાશાયી થયા હતા.
કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકામાં 15મીએ રેડ એલર્ટ
IMDના જણાવ્યા પ્રમાણે 15મી જૂને વરસાદની તીવ્રતા વધશે, જેમાં અમુક જગ્યાએ ભારેથી અતિભારે વરસાદ પડશે અને કચ્છ, દેવભૂમિ દ્વારકા અને જામનગરમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ પડશે અને પોરબંદર, રાજકોટ, મોરબી અને જૂનાગઢ જિલ્લાઓમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ પડશે. 15 જૂનના રોજ ગુજરાતના ત્રણ જિલ્લાઓ- કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા- માં હવામાન વિભાગે રેડ એલર્ટ જાહેર કર્યું છે. આ જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ વરસી શકે છે. મોરબી, રાજકોટ, જૂનાગઢ અને પોરબંદરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.
આરોગ્ય વિભાગ પણ સજ્જ
આરોગ્ય વિભાગ દ્વારા અસરની સંભાવના ધરાવતા આઠ જિલ્લાઓમાં 521 જેટલા પી.એચ.સી., સી.એચ.સી., હોસ્પિટલને આરોગ્ય-રક્ષક દવા, સાધનો, જનરેટરથી સજ્જ કરવામાં આવ્યા છે. પૂર સંભવિત વિસ્તારોમાં 157 એમ્બ્યુલન્સ સેવાઓ પણ ઉપલબ્ધ કરી દેવાઈ છે.
પોરબંદર એસટી ડેપોના તમામ રુટ બંધ
ચક્રવાત બિપરજોયની અસરને પગલે પોરબંદર એસટી ડેપોના તમામ રુટ બંધ કરી દેવાયા છે. જ્યારે જામનગર એસટી ડેપો પરથી ઉપડતી એક્સપ્રેસ બસના 44 રુટ તેમજ અન્ય 16 રુટ સહિત કુલ 60 રુટ કેન્સલ કરી દેવાયા છે. આ ઉપરાંત ખંભાળિયા ડેપોથી ઉપડતી 67 એસટી બસોના રૂટ સંભવિત વાવાઝોડાના પગલે રદ કરી દેવામાં આવ્યા છે.
દરમિયાન, ભાજપે તેના નિયત કાર્યક્રમો મોકૂફ રાખવાની જાહેરાત કરી છે. ગુજરાતમાં વડાપ્રધાન મોદીની સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર સોમવારથી 15 જૂન સુધી ભાજપની અનેક જાહેરસભાઓ યોજાવાની હતી. જે સંભવિત ચક્રવાતી તોફાનના કારણે મોકૂફ રાખવામાં આવી છે.
Advertisement