ગુજરાતના ધરતીપુત્રોના હિતમાં રાજ્ય સરકારે વધુ એક મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. માર્ચ મહિના દરમિયાન થયેલા કમોસમી વરસાદના કારણે રાજ્યના અનેક ખેડૂતોના પાકમાં નુકસાન જોવા મળ્યું હતું.
રાજ્ય સરકારે આ બાબતને ગંભીરતાથી ધ્યાને લઈ તાત્કાલિક ધોરણે જિલ્લાવાર સર્વેની કામગીરી પૂર્ણ કરી છે અને ખેડૂતો માટે અત્યાર સુધીની સૌથી વધુ સહાય આપતું વિશેષ રાહત પેકેજ જાહેર કરવાનો નિર્ણય કર્યો છે.
ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યમંત્રી મંડળની કેબિનેટ બેઠક મળી હતી. કેબિનેટ બેઠકમાં લેવાયેલા નિર્ણયમાં પ્રવક્તા મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્યના રાજકોટ, જૂનાગઢ, બનાસકાંઠા, અરવલ્લી, તાપી, પાટણ, સાબરકાંઠા, સુરત, કચ્છ, અમરેલી, જામનગર, ભાવનગર અને અમદાવાદ એમ 13 જિલ્લાના 48 તાલુકામાં પાક નુકસાની અંગેનો અહેવાલ મળ્યો હતો, જેમાં વહીવટી તંત્રએ કરેલા આંકલન તેમજ ખેડૂતો, ખેડૂત સંગઠનો અને જન પ્રતિનિધિઓની રજૂઆતો મળી હતી, આ રજૂઆતોના આધારે રાજ્ય સરકારે ખેડૂતોને મદદરુપ થવા માટે SDRF ધોરણો ઉપરાંત ખાસ કિસ્સામાં રાજ્ય બજેટમાંથી ટોપ-અપ સહાય દરોમાં અત્યાર સુધીનો સર્વોચ્ચ વધારો કરી વિશેષ રાહત જાહેર કરાઈ છે.
પ્રવકતા મંત્રીએ ઉમેર્યું હતું કે, ઘઉં, ચણા, રાઈ, કેળા, પપૈયા વગેરે જેવા ખેતી અને વર્ષાયુ બાગાયતી પાકો માટે SDRFના ધારાધોરણો મુજબ પ્રતિ હેક્ટર રુ. 13500ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી અત્યાર સુધીની સૌથી વઘુ એવી વધારાની રુ. 9500 પ્રતિ હેક્ટર સહાય ગણતરીમાં લઈ કુલ રુ.23000 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવાની જોગવાઈ કરવામાં આવી છે.
જ્યારે આંબા, લીંબુ, જામફળ જેવા બહુવર્ષાયુ બાગાયતી પાકોમાં 33 ટકા કે તેથી વધુ નુકસાનના કિસ્સામાં SDRFના નોર્મસ મુજબ પ્રતિ હેક્ટર મળવા પાત્ર રુ.18000ની સહાય ઉપરાંત રાજ્ય ભંડોળમાંથી રુ. 12600 પ્રતિ હેક્ટર વધારાની સહાય ગણતરીમાં લઈને કુલ રુ. 30600 પ્રતિ હેક્ટર લેખે ખાતાદીઠ મહત્તમ 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવવામાં આવશે.
જે કિસ્સામાં જમીન ધારકતાના આધારે કુલ સહાયની ચૂકવવવાપાત્ર રકમ રુ.4000 કરતા ઓછી હશે, તેવા કિસ્સામાં ખાતા દીઠ ઓછામાં ઓછી રુ.4000ની સહાય ચૂકવવામાં આવશે, જેમાં તફાવતની રકમ રાજ્યના બજેટમાંથી ચૂકવવામાં આવશે.
Advertisement