ગાંધીનગરઃ દેશના કેટલાંક રાજ્યોમાં સતત મુશળધાર વરસાદને કારણે પૂરની સ્થિતિ સર્જાઈ છે. ગુજરાતમાં વરસાદનો ત્રીજો રાઉન્ડ પણ શરૂ થઈ ગયો છે, સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ થયો છે, ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ સહિત અનેક વિસ્તારોમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે. જેના કારણે ખેડૂતોનો પાક બરબાદ થયો છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે સૌરાષ્ટ્રના પૂરગ્રસ્ત વિસ્તારોનું હવાઈ નિરીક્ષણ કરશે.
Advertisement
Advertisement
સીએમ જિલ્લા વહીવટીતંત્ર સાથે પણ બેઠક કરશે
ગીર સોમનાથ અને જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રના અનેક તાલુકાઓમાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા છે, જેના કારણે જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે, તેમજ ખેતરોમાં પાણી ભરાઈ જવાથી ખેડૂતોના પાકને પણ ભારે નુકસાન થયું છે. ધોરાજી, સુત્રાપાડામાં છેલ્લાં ત્રણ દિવસથી સતત વરસાદ પડી રહ્યો છે. માંગરોળ જિલ્લામાં મુશળધાર વરસાદને કારણે કેશોદમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. હવાઈ નિરીક્ષણ બાદ મુખ્યમંત્રી જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર સાથે બેઠક પણ કરશે.
દ્વારકામાં ભારે વરસાદ
સૌરાષ્ટ્રમાં સતત મૂશળધાર વરસાદ ચાલુ છે, જ્યારે ગીર સોમનાથ અને જૂનાગઢ બાદ દ્વારકામાં પણ ભારે વરસાદ પડ્યો છે, ભારે વરસાદને કારણે ટ્રેન અને બસ સેવા ખોરવાઈ ગઈ છે. ભારે વરસાદના કારણે ભાટિયાથી ઓખામઢી રેલવે ટ્રેકને નુકસાન થયું છે. જેના કારણે ઓખા જતી ટ્રેનને ખંભાળિયામાં જ અટકાવી દેવામાં આવી હતી અને 700 મુસાફરોને બસ દ્વારા દ્વારકા મોકલવામાં આવ્યા હતા. આ સાથે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી ચાર દિવસ સુધી વરસાદની સ્થિતિ યથાવત રહેશે અને દક્ષિણ ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે. આ ઉપરાંત હવામાન વિભાગે વલસાડ જિલ્લામાં બે દિવસ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
Advertisement