ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા આજે ગુજરાતના એક દિવસીય પ્રવાસે છે. પ્રવાસના પ્રારંભે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ નડ્ડા પંચમહાલની મુલાકાતે હતા. જે પી નડ્ડાએ આગામી 2024ની લોકસભાની ચૂંટણી અંગે ગોધરા ખાતે જાહેરસભાને સંબોધન કર્યું હતું. સભાને સંબોધતા નડ્ડાએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે રાહુલ ગાંધી બ્રિટન જઈને કહી રહ્યા છે કે ભારતમાં ‘લોકશાહી’ ખતરામાં છે. તે આ વાતો કહી રહ્યા છે જેમના દાદીમાએ ઈમરજન્સી લાદીને લાખો લોકોને જેલભેગાં કરી દીધા હતા. આવા લોકો લોકશાહીની વાતો કરે છે. નડ્ડાએ જાહેરસભામાં રાહુલ ગાંધી પર પ્રહારો કરતાં વધુમાં જણાવ્યું હતું કે ભારતમાં લોકશાહી ખતરામાં નથી. પરંતુ તેમનું નેતૃત્વ ખતરામાં છે.
Advertisement
Advertisement
કોંગ્રેસ પર પણ નડ્ડાના પ્રહાર
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ ગોધરામાં સભાને સંબોધતા વધુમાં કહ્યું કે 9 વર્ષમાં મોદીજીએ ભારતીય રાજનીતિની સંસ્કૃતિ બદલી નાખી છે. દેશને વંશવાદ અને વોટબેંકની રાજનીતિમાંથી બહાર કાઢીને તેઓ વિકાસવાદ તરફ લઈ ગયા છે. કોંગ્રેસ પર નિશાન સાધતા નડ્ડાએ કહ્યું કે, 1951-52થી આપણે વિચારતા રહ્યા કે અંત્યોદય, અખંડ માનવતાવાદ ગરીબોનો ઉત્કર્ષ, સમાજના છેવાડાની વ્યક્તિનું કલ્યાણ થાય. સરકારો આવી અને ગઈ…. ગરીબી હટાવવાના નામ પર કોંગ્રેસ પાર્ટી લાંબા સમયથી રાજકારણ કરે છે. ગરીબોના મત લઈને ગરીબોને જ લૂંટવાનું રાજકારણ કરી રહી છે. નડ્ડાએ કહ્યું કે આજે દેશ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આગળ વધી રહ્યો છે. વિશ્વમાં ભારતનો ડંકો વાગી રહ્યો છે.
ગુજરાતની ભૂમિને નમન
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાએ સભાને સંબોધતા ઉમેર્યું કે આપણે જાણીએ છીએ કે દેશમાં ગુજરાતનું વિશેષ સ્થાન છે. આ વીરોની ભૂમિ છે, આ તપસ્વીઓની ભૂમિ છે, આ સંતોની ભૂમિ છે, આ સમાજના સુધારકોની ભૂમિ છે. નડ્ડાએ વધુમાં કહ્યું કે આજે ગુજરાત વિકાસની નવી ઊંચાઈઓને સ્પર્શી રહ્યું છે. નડ્ડાએ કહ્યું કે ગુજરાત અનેક વસ્તુઓનું એકમાત્ર હબ છે. નડ્ડાએ ઉમેર્યું કે ગુજરાત વિશ્વના સૌથી મોટા સૌર પ્લાન્ટનું હબ છે. જેપી નડ્ડાએ કહ્યું કે આ બધું વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં થઈ રહ્યું છે.
દરમિયાન, જેપી નડ્ડાનો આજનો ગુજરાત પ્રવાસ ટૂંક સમયમાં લોકસભાની ચૂંટણી માટે ચૂંટણીનું રણશિંગુ ટૂક સમયમાં જ ફૂંકાશે તેવી અપેક્ષાના સંકેત આપે છે. નડ્ડા વડોદરાની મુલાકાત પણ લેશે અને લોકસભાની ચૂંટણીની તૈયારીઓની સમીક્ષા કરશે તેમ મનાય છે.
Advertisement