ગાંધીનગરઃ ગુજરાત રાજ્યસભાની ચૂંટણીમાં ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. અહીંથી રાજ્યસભાના ઉમેદવાર તરીકે ઉભા રહેલા વિદેશ મંત્રી એસ. જયશંકર ફરી એકવાર રાજ્યસભાના ઉમેદવાર તરીકે બિનહરીફ ચૂંટાયા છે. જ્યારે તેમની સાથે ભાજપના અન્ય બે ઉમેદવારો કેસરીદેવસિંહ ઝાલા અને બાબુભાઈ દેસાઈ પણ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, 20 જુલાઈએ આ ત્રણેય રાજ્યસભા સાંસદ શપથ લઈને તેમનો કાર્યકાળ શરૂ કરશે.
Advertisement
Advertisement
ગુજરાતમાં રાજ્યસભાની ત્રણ બેઠકો માટે 24 જુલાઈએ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ કોંગ્રેસ પાસે રાજ્યસભાના ઉમેદવાર ઊભા કરવા માટે જરૂરી સંખ્યા ન હતી. આથી હવે ભાજપના ત્રણેય ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. કેસરી સિંહ ઝાલાના પિતા દિગ્વિજય સિંહ કોંગ્રેસ સરકારમાં ભારતના પ્રથમ પર્યાવરણ મંત્રી હતા, તેઓ હાલ મુંબઈમાં રહે છે. પીએમ મોદીએ કેસરી સિંહ ઝાલાના લગ્નમાં હાજરી આપી હતી. તેમના કાકા રણજીત સિંહ હવે 83 વર્ષના છે અને રાજસ્થાનમાં રહે છે.
કોણ છે બાબુભાઈ દેસાઈ?
બાબુભાઈ દેસાઈ પૂર્વ ધારાસભ્ય છે. વર્ષ 2007માં તેઓ બનાસકાંઠાની કાંકરેજ બેઠક પરથી જીત્યા હતા. આ ઉપરાંત તેઓ 2012થી ગુજરાત રાજ્ય ભાજપના ગાય સંવર્ધન સેલના કન્વીનર છે. બાબુભાઈ દેસાઈ કાંકરેજ તાલુકાના ઉબરી ગામના વતની છે. તેમણે ઓલ્ડ એસએસસી સિવાય અંગ્રેજી માધ્યમમાં સ્ટેનોગ્રાફીનો અભ્યાસ કર્યો છે.
કોંગ્રેસને ચૂંટણી લડવાની તક ન મળી
ઉલ્લેખનીય છે કે, ગુજરાતના રાજ્યસભાના સાંસદો, વિદેશ મંત્રી એસ જયશંકર, જુગલજી ઠાકોર અને દિનેશ અનાવડિયાનો કાર્યકાળ ઓગસ્ટ મહિનામાં પૂરો થઈ રહ્યો છે. રાજ્યની આ ત્રણ બેઠકો માટે આ મહિને 24 જુલાઈના રોજ ચૂંટણી યોજાવાની હતી. પરંતુ અન્ય કોઈ ઉમેદવાર મેદાનમાં ન હોવાથી તેઓ બિનહરીફ ચૂંટાયા છે. વાસ્તવમાં ગુજરાત વિધાનસભાની વર્તમાન સ્થિતિ પર નજર કરીએ તો કોંગ્રેસે રાજ્યસભાની ચૂંટણી લડવી હોય તો 182 બેઠકોના આધારે પાર્ટી પાસે ઓછામાં ઓછા 45 ધારાસભ્યો હોવા જરૂરી છે. પરંતુ કોંગ્રેસ પાસે માત્ર 17 ધારાસભ્યો છે. આથી હવે આ ત્રણેય બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાયા છે.
Advertisement