પોરબંદર-રાણાવાવ સહિતના વિસ્તારોમાં નડતા પ્રશ્નો અંગે સ્થાનિક ચેમ્બરના આગેવાનોએ રાજકોટ આવેલા ઉદ્યોગમંત્રી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી રજૂઆતો કરી છે, જેમાં મુખ્યત્વે પોરબંદરની બંધ થયેલી વિમાની સેવા ચાલુ કરવા, વનાણા ટોલ બૂથ પરનો આકરો ટોલ ટેક્સ ઘટાડવાની પ્રમુખ માંગણીઓ હતી.
પોરબંદર ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ જિજ્ઞેશ કારિયા સહિત આગેવાનોએ રુબરુ મળીને રાજ્યના ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતને આવેદન આપ્યું હતું.
તેઓએ જણાવ્યું કે પોરબંદર શહેરમાં અંદાજિત પાંચ લાખની વસ્તી અને વર્ષોથી આ એરપોર્ટ કાર્યરત છે.
પોરબંદરથી મુંબઈ-મુંબઈથી પોરબંદર, પોરબંદર-અમદાવાદ, પોરબંદર- દિલ્હી આમ ત્રણ ફ્લાઈટ દરરોજ અપડાઉન કરતી હતી. જે ત્રણે ભરાઈ જતી હતી છતાં અજ્ઞાત કારણોસર છેલ્લા છ મહિના થયા બંધ થઈ ગયેલી છે. તે તાત્કાલિક ચાલુ થાય તો પોરબંદરને ફરી પાછી સારી સુવિધા મળતી થઈ જાય તે માટે યોગ્ય કરવા માંગ કરી છે.
ઉપરાંત પોરબંદર નજીક 15 કિ.મી.ના અંતરે વનાણા ટોલ નાકુ આવેલું છે, જેમાં સિંગલ ચાર્જ રુ.100 અને રિટર્ન રુ.200 છે. પોરબંદરથી રાણાવાવ 17 કિ.મી. અંતર છે, ત્યાં સૌરાષ્ટ્ર સિમેન્ટ ફેક્ટરી ઉદ્યોગ તેમજ રાણાવાવ નજીકનું ગામ છે. જેમને રોજ પોરબંદર અને પોરબંદરના શહેરજનોને રાણાવાવ, રાજકોટ અવરજવર થતી હોય ત્યારે આ ટોલટેક્સ ખૂબ જ મોંઘો પડે છે. તો આ ટોલટેક્સમાં રાહત મળે માટે આ મુક્તિ આપવી જોઈએ એવી રજૂઆત કરાઈ હતી.
Advertisement