અમદાવાદ ટ્રાફિક પોલીસ દ્વારા અમદાવાદીઓની સુરક્ષાને સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ટ્રાફિક પોલીસ દ્વારા નાગરિકોની સુરક્ષા અને ગુનાહિત કૃત્યોને રોકવા માટે અમદાવાદ શહેરની તમામ રિક્ષાઓમાં ક્યુઆર કોડ લગાવવાનું અભિયાન હાથ ધર્યું છે. અમદાવાદની રિક્ષામાં ક્યુઆર કોડ લગાવવાનું કામ પૂર્ણ થયા પછી અમદાવાદમાં ફરવા આવતા રાજ્ય-દેશ અને વિશ્વના કોઈપણ મુસાફરની સુરક્ષાને સુનિશ્ચિત કરી શકાશે.
Advertisement
Advertisement
સિનિયર આઈપીએસ અધિકારીના જણાવ્યા અનુસાર ક્યુઆર કોડમાં રિક્ષા માલિક અને રિક્ષા ડ્રાઇવરની તમામ વિગતો અપલોડ કરવામાં આવેલી છે. રિક્ષામાં બેસો તે પહેલા ક્યુઆર કોડનો ફોટો પાડવો મુસાફરોને સુરક્ષિત રાખશે. અધિકારીના જણાવ્યા અનુસાર, રિક્ષામાં મુસાફરી દરમિયાન જો કોઈ મુસાફર કોઈ ગુનાનો ભોગ બને છે, તો તેને ક્યુઆર કોડનો ફોટો પોલીસને મોકલવાનો રહેશે. આરોપીને ગણતરીની મીનિટોમાં પકડીને કાર્યવાહી કરવામાં આવશે.
પોલીસ અધિકારીઓનું માનવું છે કે રિક્ષામાં ક્યુઆર કોડ લાગ્યા પછી મુસાફરો સુરક્ષિત રીતે મુસાફરી કરી શકશે અને જો તેમના સાથે કોઈ બનાવ બને છે તો આરોપી પોલીસના હાથમાંથી છટકી શકશે નહીં. પોલીસના જણાવ્યા અનુસાર અમદાવાદ શહેરમાં લગભગ એક લાખથી વધારે રિક્ષાઓ દોડી રહી છે. ઓટો રિક્ષા ડ્રાઈવરોને બદનામ કરવા માટે અસામાજિક તત્વો રિક્ષા ચાલક બનીને મુસાફરોને લૂટવા માટે પાછલા કેટલાક સમયથી સક્રિય થયા છે. આ શખ્સો ઓટો રિક્ષા ચલાવવાની આડમાં મુસાફરો સાથે લૂંટ-ફાટ, છેડતી અને અપહરણ જેવા ગુનાઓ આચરી રહ્યાં છે.
પોલીસ અનુસાર, શહેરમાં રિક્ષામાં બેસેલા પેસેન્જર્સની નજર ચૂકવીને પર્સ, ઘરેણા, મોબાઈલ ફોન, રોકડ જેવી ચીજ-વસ્તુઓની ચોરીના બનાવોમાં પણ નોંધપાત્ર ઉછાળો થયો છે. તે ઉપરાંત રિક્ષામાં બેસતી મહિલાઓ સાથે ખરાબ વર્તન અને તેમની છેડતી કર્યાની ઘટનાઓ પણ સામે આવી રહી છે. તે ઉપરાંત વિદેશમાંથી આવતા મહેમાનો પાસેથી વધારે પડતું ભાડૂ લઈને તેમના સાથે છેતરપિંડી આચરવામાં આવી રહી છે, તો ચાલું રિક્ષામાં ચિલઝડપ કરવાની ઘટનાઓ પણ બની રહી છે.
પોલીસના આ પ્રોજેક્ટના ભાગરૂપે શહેરમાં દોડતી તમામ રિક્ષાઓ પર ચારથી પાંચ જગ્યાએ સ્પષ્ટ રીતે દેખાય તેવી રીતે ક્યુઆર કોડ લગાવવામાં આવશે. આ ક્યુઆર કોડમાં રિક્ષા ચલાવનારા વ્યક્તિનું નામ, સરનામું, મોબાઈલ નંબર સહિતની વિગતો હશે. આટો રિક્ષામાં બેસેલા મુસાફરો સાથે કોઈ ગુનાહિત કૃત્ય થાય તો ક્યુઆર કોડનો ફોટો પાડીને પોલીસને મોકલવાનો રહેશે. કોડ સ્કેન કરીને મોકલવાની તકનીક પર પોલીસ દ્વારા કામગીરી ચાલી રહી છે. આ સિસ્ટમ શરૂ થતાં જ દેશ-વિદેશના મુસાફરો સુરક્ષાનો અનુભવ કરશે.
Advertisement