અમદાવાદઃ અમદાવાદના વિશાલા પાસે જર્જરિત શાસ્ત્રી બ્રિજના અહેવાલ બાદ જિલ્લા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. શાસ્ત્રી બ્રિજના રિપેરિંગ માટે સરકારે મંજૂરી આપી છે. જેના કારણે અમદાવાદવાસીઓએ રાહતનો શ્વાસ લીધો છે. અગાઉ બ્રિજમાં તિરાડ પડવાના કારણે ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. જોકે નાના વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો ન હતો.
Advertisement
Advertisement
હવે એવી માહિતી મળી રહી છે કે વિશાલાથી નારોલને જોડતા શાસ્ત્રી બ્રિજને રિપેરિંગ માટે આગામી સપ્તાહથી છ મહિના માટે બંધ રાખવામાં આવશે. 5.50 કરોડના ખર્ચે પુલનું રિપેરિંગ કરવામાં આવશે. બ્રિજની પેરાફિટ વોલ, રોડ વગેરેનું સમારકામ કરવામાં આવશે. આ પુલ પરથી રોજના 70 હજારથી 1 લાખ વાહનો પસાર થાય છે.
આ અગાઉ 6 જૂને વિશાલા-ગ્યાસપુરને જોડતા શાસ્ત્રી બ્રિજમાં મોટી તિરાડ પડી હોવાના સમાચાર આવ્યા હતા. આ પુલ પરથી દરરોજ લાખો વાહનો પસાર થાય છે અને મોટા વાહનો પસાર થાય ત્યારે વાઇબ્રેશન થાય છે. આ અંગે અનેક ફરિયાદો આવી હતી. ત્યારબાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશાલાથી નારોલ તરફ જતા પુલનો એક ભાગ બંધ કરી દીધો હતો અને ટ્રાફિક પોલીસે ભારે વાહનોને તેના પર જવાની મનાઈ ફરમાવી હતી.
પુલના સમારકામનો નિર્ણય લેવાયો
છેલ્લાં કેટલાંક સમયથી શહેરનો શાસ્ત્રી બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો હતો અને કોઈ દુર્ઘટના સર્જાય તે પહેલા તેનું સમારકામ કરાવવામાં આવે તેવી માંગ ઉઠી હતી. તે પછી ભારે વાહનોની અવરજવર પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. હવે સરકારે આ પુલનું સમારકામ કરવાનો નિર્ણય લીધો છે. આ પુલ પરથી પસાર થતા ભારે વાહનોને એપીએમસી થઈને વાસણા તરફ જવાની પરવાનગી આપવામાં આવી છે.
Advertisement