અમદાવાદઃ શહેરમાં અસામાજિક તત્વોને પોલીસ અને કાયદાનો કોઈ ડર નથી. શહેરમાં હત્યાના કિસ્સા છાશવારે સામે આવતાં રહે છે. માધવપુરા વિસ્તારમાં ગત મોડી રાત્રે પરસ્પર અદાવતમાં એક યુવકની છરીના ઘા મારીને હત્યા કરી નાંખવામાં આવી હતી. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. આ ઘટનાને લઈને કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે. ઘટના બાદ શહેર પોલીસ કમિશનર જીએસ મલિક પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. આ ઘટનાને પગલે માધવપુરા માર્કેટ પણ બંધ થઈ ગયું છે. પોલીસે ગુનો નોંધીને એક આરોપીની ધરપકડ કરી છે. આ સાથે જ શંકાસ્પદ ગણાતા છ લોકોને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. આજે કડક પોલીસ બંદોબસ્ત વચ્ચે મૃતક યુવકની અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી.
Advertisement
Advertisement
માધવપુરા વિસ્તારમાં તણાવની સ્થિતિ સર્જાઈ
પ્રાપ્ત માહિતી અનુસાર, માધવપુરા વિસ્તારના ઠાકોરવાસમાં રહેતો કૃણાલ ઠાકોર નામનો 19 વર્ષીય યુવક ગઈ મોડી રાત્રે મેન્ટલ હોસ્પિટલ પાસેના પાન પાર્લર પાસે ઊભો હતો. તે વખતે જ સાત લોકો તેની પાસે આવ્યા અને તેના પર છરીથી આડેધડ હુમલો કરવા લાગ્યા. ચાકુ વાગતાં જ કૃણાલ જમીન પર ફસડાઈ પડ્યો અને ઘટનાસ્થળે જ તેનું મોત થઈ ગયું. ઘટનાની જાણ થતાં જ માધવપુરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને કૃણાલના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ ઘટના બાદ માધવપુરા વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. જેના કારણે પોલીસ બંદોબસ્ત વધારી દેવામાં આવ્યો છે.
માધવપુરા પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. મોડી રાત્રે ઝોન 2ના ડીસીપી, એસીપી, માધવપુરા પીઆઈ સહિત પોલીસનો કાફલો ઘટનાસ્થળે હાજર હતો, આજે સવારે પોલીસ કમિશનર જીએસ મલિક પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. માધવપુરા વિસ્તારમાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સમગ્ર વિસ્તારને પોલીસ છાવણીમાં ફેરવી દેવામાં આવ્યો છે. મૃતકના અંતિમ સંસ્કાર માટે પોલીસ કાફલો પણ તૈનાત કરવામાં આવ્યો હતો. માધવપુરા પોલીસે પાંચ લોકો સામે હત્યાનો ગુનો નોંધ્યો છે. પોલીસે એક આરોપીની ધરપકડ કરી છે. આ ઉપરાંત, પોલીસે 6 શકમંદોની પણ અટકાયત કરી છે.
Advertisement