મહેસાણા જિલ્લામાં કુકરવાડાને નવા તાલુકાની પ્રક્રિયા શરુ થઈ હોવાની જાણ થતાં જ ગોઝારિયા પંથકના આગેવાનો સફાળા જાગ્યા છે અને ગોઝારિયા તાલુકા પુનઃનિર્માણ સમિતિની બેઠક કરીને નવો તાલુકો જાહેર કરવા પોતાની વર્ષો જૂની માગણી દોહરાવી છે.
રાજ્ય સરકારે વર્ષ 2014માં ગોઝારિયા અને જોટાણાને નવો તાલુકો બનાવ્યા બાદ ગોઝારિયા તાલુકો રદ કરીને જોટાણા તાલુકો યથાવત રાખતા ગોઝારિયાના આગેવાનો નારાજ થયા હતા.
ઉલ્લેખનીય છે કે વર્ષ 1997માં શંકરસિંહ વાઘેલાની રાજપા સરકારે ગોઝારિયાને તાલુકો જાહેર કરી મામલતદાર, ટીડીઓની નિમણૂકની કરી મહેકમની પણ ફાળવણી કરી દેવામાં આવી હતી.
ગુજરાતના ઈતિહાસમાં ગોઝારિયા ગામ એવું છે કે જેને બબ્બે વખત તાલુકાનો દરજ્જો મળ્યા બાદ છીનવાઈ ગયો હતો.
ગોઝારિયા તાલુકા પુનઃનિર્માણ સમિતિના આગેવાનોની બેઠક કરીને ગોઝારિયાને તાલુકો બનાવવા ચળવળ શરુ કરી છે. ગોઝારિયાને તાલુકો જાહેર કરીને બે વર્ષ સુધી તાલુકો રહ્યા બાદ રાજકીય નેતાઓની અંદરોઅંદરની લડાઈના પરિણામે તાલુકો રદ થતાં ગોઝારિયા ગામ અને પંથકમાં પ્રતિષ્ઠા હણાઈ હોવાનું જણાવીને સમિતિના સભ્યોએ આજુબાજુના 22 ગામોમાં લેટરપેટ એકઠાં કરીને સંમતી મેળવી લીધી હોવાનો દાવો કર્યો છે.
Advertisement