અમદાવાદઃ લોકસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન ગુજરાત ચૂંટણીને લઈને મોટી માહિતી સામે આવી છે. ગત વિધાનસભા ચૂંટણીમાં ત્રિકોણીય મુકાબલો જોવા મળ્યો હતો. જેના કારણે ભાજપને શાનદાર જીત મળી અને કોંગ્રેસને શરમજનક હાર મળી. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનું ખાતું ખુલ્યું હતું અને તેને રાષ્ટ્રીય પક્ષનો દરજ્જો મળ્યો છે. પરંતુ હવે ગુજરાતમાં લોકસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસે ગઠબંધન કરી લીધું છે. આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઇસુદાન ગઢવીએ મીડિયાને જણાવ્યું કે, ગુજરાતમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધન કરીને લોકસભાની ચૂંટણી લડશે. પરંતુ હજુ સુધી કોંગ્રેસ તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
Advertisement
Advertisement
I.N.D.I.A.નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે
આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઇસુદાન ગઢવીએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે I.N.D.I.A.નું ગઠબંધન ગુજરાતમાં પણ લાગુ પડશે. અમે હાલમાં રાજ્યમાં બેઠકોની તપાસ કરી રહ્યા છીએ. રાજ્યમાં અમે કોંગ્રેસ સાથે બેઠકો વહેંચીને ચૂંટણી લડીશું. ચૂંટણી I.N.D.I.A ગઠબંધન સાથે લડવામાં આવશે અને અમને પૂરેપૂરી ખાતરી છે કે આ વખતે લોકસભાની ચૂંટણીમાં સીટોની વહેંચણીમાં યોગ્ય નિર્ણય લેવાશે તો ભાજપ ગુજરાતમાં 26માંથી 26 સીટો જીતી શકશે નહીં. BJP આ ગઠબંધનથી ડરી ગઈ છે અને તેઓ જાણે છે કે I.N.D.I.A ગઠબંધન 2024ની લોકસભા ચૂંટણીમાં NDAને હરાવી દેશે. વડાપ્રધાનથી લઈને ભાજપના નેતાઓ પણ I.N.D.I.A.ની ટીકા કરી રહ્યા છે.
કોંગ્રેસે ગુજરાત વિધાનસભાના પરિણામ માટે AAPને જવાબદાર ગણાવી હતી
ગુજરાતમાં છેલ્લી વિધાનસભામાં આમ આદમી પાર્ટીને માત્ર પાંચ બેઠકો અને 13 ટકા મત મળ્યા હતા. જ્યારે અસદુદ્દીન ઓવૈસીની પાર્ટી AIMIMને 0.29 ટકા વોટ મળ્યા હતા. આ બંને પક્ષોએ ગુજરાતમાં કોંગ્રેસને ભારે નુકસાન પહોંચાડ્યું હતું, જેના કારણે ગુજરાત કોંગ્રેસ તેનું અત્યાર સુધીનું સૌથી ખરાબ પ્રદર્શન કરતા માત્ર 17 બેઠકો જીતી શકી હતી. આ કારમી હારનું એક મુખ્ય કારણ આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જેવી પાર્ટીઓ દ્વારા કોંગ્રેસની વોટબેંકને તોડી પાડવાનો પ્રયાસ હતો.
ચૂંટણી પરિણામો બાદ કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે ગુજરાતમાં કોંગ્રેસની હાર માટે ત્રણ પક્ષોને જવાબદાર ઠેરવ્યા હતા અને કહ્યું હતું કે ગુજરાતના પરિણામો ખૂબ જ નિરાશાજનક અને કોંગ્રેસની વિરુદ્ધ છે. તેમણે કહ્યું હતું કે કોંગ્રેસની હાર માટે ભાજપ, આમ આદમી પાર્ટી અને અસદુદ્દીન ઓવૈસીની AIMIM જવાબદાર છે.
Advertisement