રાજકોટઃ હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. વૃદ્ધોથી લઈને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. રાજકોટમાં એક સપ્તાહમાં વધુ એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયું હોવાની માહિતી સામે આવી છે. રાજકોટના SGVP ગુરુકુળમાં ધોરણ 10માં અભ્યાસ કરતાં વિદ્યાર્થીનું હાર્ટ એટેકથી મોત થયાની ઘટના પ્રકાશમાં આવી છે. આ વિદ્યાર્થી સ્ટેજ પર ભાષણ આપતી વખતે બેહોશ થઈ ગયો અને તેને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવ્યો, પરંતુ તે પહેલા જ તે મૃત્યુ પામ્યો હતો.
Advertisement
Advertisement
સ્ટેજ પર ભાષણ આપતી વખતે વિદ્યાર્થી પડી ગયો
મળતી માહિતી મુજબ, રાજકોટના SGVP ગુરુકુલમાં આજે એક ગંભીર ઘટના બની હતી, જેમાં એક વિદ્યાર્થીનું હાર્ટ એટેકના કારણે મોત થયું છે. આ વિદ્યાર્થીનું નામ દેવાંશ ભાયાણી હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. તે એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર ભાષણ આપી રહ્યો હતો. આ દરમિયાન તે અચાનક જ બેહોશ થઈ ગયો. વિદ્યાર્થી પડી જતાં જ આસપાસના લોકો દોડી આવ્યા હતા અને વિદ્યાર્થીને બેભાન હાલતમાં ખાનગી હોસ્પિટલે લઈ ગયા હતા. જોકે સારવાર મળે તે પહેલા દેવાંશનું મોત નીપજ્યું હતું. ઘટનાને પગલે ગુરુકુળમાં શોકનું વાતાવરણ ફેલાઈ ગયું છે. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો હતો.
એન્જિનિયરિંગ કોલેજના વિદ્યાર્થીનું પણ હાર્ટ એટેકથી થયું હતું મોત
અગાઉ, રાજકોટની વીવીપી એન્જિનિયરિંગ કોલેજના અંતિમ વર્ષના વિદ્યાર્થી 28 વર્ષીય કલ્પેશ પ્રજાપતિને હાર્ટ એટેક આવ્યો હતો. સારવાર માટે હોસ્પિટલ પહોંચે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. કલ્પેશ કોલેજમાંથી નીકળી રહ્યો હતો, તે દરમિયાન જ તેને છાતીમાં દુ:ખાવો શરૂ થયો હતો. ત્યારબાદ તેને હોસ્પિટલે લઈ જવામાં આવ્યો હતો. પરંતુ ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો.
નવસારીમાં વિદ્યાર્થીનીનું મૃત્યુ
અગાઉ ગુજરાતના નવસારીના પરતાપોર ગામમાં ધોરણ 12માં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીનીનું હૃદયરોગના હુમલાથી મોત થયું હતું. બનાવને પગલે મૃતકના પરિવારજનો અને શાળામાં શોકનો માહોલ છવાઈ ગયો હતો. નવસારીના પરતાપોર ગામમાં આવેલી એબી સ્કૂલમાં ધોરણ 12માં ભણતી તનિષા રિસેસ દરમિયાન બેહોશ થઈ ગઈ હતી. ત્યાર બાદ શાળા પ્રશાસન દ્વારા તેને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવી હતી, જ્યાં ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી.
Advertisement