અમદાવાદઃ ગુજરાતમાં હાર્ટ એટેકના કેસોમાં ચિંતાજનક વધારો થયો છે. યુવાનોમાં આવા કિસ્સા વધુ પ્રકાશમાં આવી રહ્યા છે. છેલ્લાં 24 કલાકમાં રાજ્યમાં હાર્ટ એટેકના કારણે 7 થી વધુ લોકોના મોત થઈ ગયા છે. રાજકોટમાં જ છેલ્લાં 12 કલાકમાં એક શિક્ષક સહિત ત્રણ લોકોના કાર્ડિયાક અરેસ્ટને કારણે મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. મોતના આવા બનાવોને લઈને તબીબોમાં પણ ચિંતા વધી ગઈ છે. રાજકોટ, અમદાવાદ, સુરત અને મહેસાણામાં હાર્ટ એટેકથી મૃત્યુના કેસ નોંધાયા છે. છેલ્લાં દસ દિવસમાં હાર્ટ એટેકના કારણે 20થી વધુ લોકોના મોત થયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
Advertisement
Advertisement
રાજકોટમાં છેલ્લાં 12 કલાકમાં ત્રણ લોકોના મોત
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજકોટમાં છેલ્લાં 12 કલાકમાં 24 વર્ષીય રણજીત યાદવ, 40 વર્ષીય આશિષ અકબરી અને 43 વર્ષીય દીપક વેકરીયાનું મોત નીપજ્યું છે. સુરતમાં ગત રાત્રે મુકેશ ગામિત નામનો યુવક ગરબા રમી રહ્યો હતો ત્યારે અચાનક તેને છાતીમાં દુ:ખાવો થતાં તે પડી ગયો હતો. જેતપુરના ખજુરી ગુંદાળામાં રહેતા કિશન મકવાણા નામના 22 વર્ષના યુવકને છાતીમાં દુખાવો ઉપડ્યો હતો. સારવાર મળે તે પહેલા જ તેનું મોત થઈ ગયું. તેવી જ રીતે અમદાવાદ શહેર કોંગ્રેસના સોશિયલ મીડિયા વિભાગના મંત્રી 36 વર્ષીય વિશાલ સોલંકીનું પણ હાર્ટ એટેકથી નિધન થયું છે. મહેસાણાના વીજાપુરના ખારોદ ગામમાં 65 વર્ષીય વૃદ્ધનું હાર્ટ એટેકથી મોત થયું હતું.
નાના બાળકો અને યુવાનોને પણ હાર્ટ એટેક આવે છે
તાજેતરના સમયમાં જે હાર્ટ એટેકની ઘટનાઓ સામે આવી છે તે ચિંતાજનક છે. પહેલા લોકો હાઈ કોલેસ્ટ્રોલ, સ્થૂળતા અને વધારે વજનના કારણે હાર્ટ એટેકનો ભોગ બનતા હતા. પરંતુ તાજેતરમાં જ નાના બાળકો અને યુવાનોમાં હાર્ટ એટેક અને મૃત્યુના બનાવોમાં વધારો થયો છે.
Advertisement