ચોમાસું શરુ થવાને માંડ એક મહિનાની વાર છે ત્યારે હજુ સુધી અમદાવાદ મ્યુનિસિપલ દ્વારા આયોજિક પ્રિ-મોન્સૂન કામગીરી હાથ ધરવામાં આવી નથી. અમદાવાદના કોટ વિસ્તારમાં દર વર્ષે ચોમાસામાં જર્જરિત મકાનો ધસી પડવાની કેટલીક ઘટનાઓ સામે આવતી હોય છે. આ દરમિયાન ઘણા નિર્દોષ લોકોના મોત થાય છે. છતાં આવા મકાનો અંગે કોઈ ચોક્કસ નિર્ણય લેવાતો નથી.
આ સ્થિતિ વચ્ચે કોટ વિસ્તારમાં 400થી વધુ જર્જરિત મકાનો હોવાનું ખુદ ભાજપના કાઉન્સિલરે જણાવ્યું છે અને તેઓ મુખ્યમંત્રીને પત્ર લખીને આ અંગે મ્યુનિસિપલને કોઈ સત્તા ન હોવાનું જણાવતા ચોક્કસ પોલિસી ઘડવાની માંગણી કરી છે.
દર વર્ષે ચોમાસામાં આ જર્જરિત મકાનો ઘસી પડવાના કારણે તેમા રહેતા લોકો ઉપરાંત આસપાસના અનેક લોકો પણ ઈજાગ્રસ્ત બનતા હોય છે. કેટલાક કિસ્સામાં નિર્દોષ લોકોના જીવ જાય છે. મ્યુનિસિપલ દ્વારા સમયાંતરે ફક્ત નોટિસો આપીને સંતોષ માની લેવામાં આવે છે. પરંતુ આવા મકાનો અંગે કોઈ ચોક્કસ આયોજન કરાતું નથી.
હવે ખાડિયા ભાજપના મ્યુનિસિપલ કાઉન્સિલર પંકજ ભટ્ટે આ અંગે મુખ્યમંત્રીને પત્ર પાઠવીને ચોક્કસ પોલિસી ઘડવાની માંગણી કરી છે.
પત્રમાં લખ્યું છે કે, કોટ વિસ્તારમાં 400થી વધારે જર્જરિત મકાનો છે. ચોમાસામાં આ મકાનોના કારણે ગમે ત્યારે અકસ્માત સર્જાય તેવી શક્યતા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનને માત્ર નોટિસ આપવાની સત્તા હોય છે. મકાન માલિક અને ભાડુઆતો તેમજ કૌટુંબિક વિવાદોના કારણે મોટાભાગના જર્જરિત મકાનોના સમારકામ કરાતા નથી. આવા મકાનોના કારણે રસ્તા પરથી પસાર થતા નિર્દોષ લોકો ભયના ઓથાર તળે રહે છે. આ અંગે રાજ્ય સરકાર દ્વારા ચોક્કસ પોલિસી બનાવવામાં આવે તેવી માંગણી પત્રમાં કરાઈ છે.
Advertisement