હાલ ગુજરાત સહિત સમગ્ર દેશમાં હાર્ટ એટેકના કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. મોટી ઉંમરના લોકોથી લઈને યુવાનો હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે. દરમિયાન ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકના કારણે મોત થયાના સમાચાર છે. આ બનાવને પગલે મૃતકના પરિવારમાં અને મિત્રોમાં શોકનું વાતાવરણ પ્રસરી ગયું છે.
Advertisement
Advertisement
મળતી માહિતી અનુસાર ગાંધીનગરમાં 21 વર્ષીય યુવકનું હાર્ટ એટેકથી મૃત્યુ નિપજ્યું છે. નવસારી જિલ્લાના બીલીમોરા ખાતે આવેલા જીવન જ્યોત એપાર્ટમેન્ટમાં રહેતો આયુષ ગાંધી ગાંધીનગર ખાતે આઈટી ક્ષેત્રમાં અભ્યાસ કરતો હતો. ગઈકાલે ગાંધીનગર ખાતે આયુષને હાર્ટ એટેક આવ્યો હતો. હૃદય રોગના આ ભારે હુમલાને લીધે આયુષ ગાંધીનું મૃત્યુ થયું હતું. આ અંગેની જાણ મિત્રો દ્વારા આયુષના પરિવારને કરવામાં આવતા પરિવાર આઘાતમાં મુકાઈ ગયો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે યુવાનોમાં સ્કૂલમાં ભણતી વખતે, ક્રિકેટ રમતી વખતે, વાહન ચલાવતી વખતે જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેકના બનાવોનું પ્રમાણ વધી ગયું છે. હાર્ટએટેક આવતાં જ સ્થળ પર જ મૃત્યુ થવાના બનાવો વારંવાર બની રહ્યાં છે. સ્વસ્થ અને ફિટ લોકોમાં હૃદયરોગનું પ્રમાણ વધી રહ્યું છે. તાજેતરમાં નવસારીના પરતાપોર ગામની એબી સ્કૂલમાં ધોરણ 12માં અભ્યાસ કરતી તનિષા રિસેસ દરમિયાન અચાનક બેભાન થઈ ગઈ હતી. તેને હોસ્પિટલ લઈ જવાતા ફરજ પરના ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી હતી. આ ઉપરાંત તાજેતરમાં જ રાજકોટમાં વક્તૃત્વ સ્પર્ધામાં ભાગ લઈ રહેલા કિશોરને અચાનક હૃદયરોગનો હુમલો આવતા તેનું મૃત્યુ થયું હતું. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે આ મામલે તપાસના આદેશ આપ્યા છે. પરંતુ, કયા કારણસર યુવાન અને તંદુરસ્ત લોકો પણ હાર્ટ એટેકનો શિકાર બની રહ્યા છે તે અંગે હજુ સુધી કોઈ તાર્કિક તથ્ય સામે આવી શક્યું નથી.
Advertisement