અમદાવાદ: બંગાળની ખાડીમાં સર્જાયેલા લો પ્રેશરને કારણે ગુજરાતમાં સતત મુશળધાર વરસાદ વરસી રહ્યો છે, ત્યારે હવામાન વિભાગે આગામી ચાર દિવસ સુધી રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરી છે. રાજ્યમાં ભારે વરસાદને કારણે 180 રસ્તા બંધ થઈ ગયા છે. જેમાં 2 નેશનલ હાઈવે અને 15 સ્ટેટ હાઈવેનો સમાવેશ થાય છે. આ સાથે પંચાયત હસ્તકના 144 રસ્તા પણ બંધ કરી દેવામાં આવ્યા છે.
Advertisement
Advertisement
ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ ટ્રેન સેવા પ્રભાવિત
ભરૂચમાં ભારે વરસાદને કારણે મુંબઈ-અમદાવાદ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે. ભરૂચ-અંકલેશ્વર વચ્ચે સિલ્વર બ્રિજ પર પાણી ભરાઈ જવાના કારણે અનેક ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ગોલ્ડન બ્રિજ, નર્મદામૈયા બ્રિજ ઉપરાંત સિલ્વર બ્રિજ પણ બંધ કરી દેવામાં આવ્યો છે. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાના જણાવ્યા મુજબ આગામી સમયમાં ગોલ્ડન બ્રિજ ખાતે નર્મદા નદીનું જળસ્તર ઘટવાની શક્યતા છે. જ્યાં જ્યાં પાણી ભરાયું હતું ત્યાંથી પાણી ઓછું થવા લાગ્યું છે. લગભગ 5,700 લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું છે. હાલ સ્થિતિ નિયંત્રણમાં છે.
ગુજરાતના 190થી વધુ ગામોમાં એલર્ટ
રાજ્યના વિવિધ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થઈ રહ્યો છે. વરસાદના પુનરાગમનથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ભારે વરસાદને કારણે ગુજરાતના 190થી વધુ ગામડાઓને એલર્ટ પર રહેવાના આદેશ આપવામાં આવ્યા છે. નર્મદા ડેમ ઓવરફ્લો થયા બાદ આ સિઝનમાં પ્રથમ વખત પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે ભરૂચમાં ગોલ્ડન બ્રિજ પર ભયજનક સપાટીથી 10 ફૂટ ઉપર પાણી વહેવાને લીધે ભરૂચમાં પૂરની સ્થિતિ સર્જાઈ છે.
8 જિલ્લામાં NDRF-SDRF ટીમો તૈનાત
ગુજરાતમાં ભારે વરસાદ બાદ ફરી એકવાર અનેક જિલ્લાઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. જેના કારણે 8 જિલ્લામાં NDRF-SDRF તૈનાત કરવામાં આવી છે. ભરૂચ, વડોદરા, પંચમહાલમાં એનડીઆરએફની એક-એક ટીમ, રાજકોટ-જૂનાગઢમાં એક-એક એનડીઆરએફ ટીમ, નર્મદા જિલ્લામાં 2 ટીમો તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત બનાસકાંઠા, ભરૂચ, દાહોદમાં એક-એક SDRF ટીમ અને નર્મદા અને વડોદરામાં SDRFની ત્રણ ટીમોને એલર્ટ મોડ પર રાખવામાં આવી છે.
Advertisement