નવી દિલ્હીઃ કેન્દ્ર સરકારે દિલ્હી સરકારના વર્ષ 2023-24ના બજેટને વિધાનસભામાં રજૂ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. જેને પગલે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પીએમ મોદીને પત્ર લખીને માંગ કરી હતી કે મહેરબાની કરીને બજેટ પર મનાઈ ફરમાવશો નહીં. તમે દિલ્હીની જનતાથી કેમ નારાજ છો. દેશના 75 વર્ષમાં પહેલી વખત કોઈ રાજ્યનું બજેટ અટકાવવામાં આવ્યુ છે. એટલું જ નહીં કેજરીવાલ સરકારે ગૃહ મંત્રાલય પર જુઠ્ઠાણું ફેલાવવાનો આરોપ પણ લગાવ્યો હતો. હવે ભાજપાના નેતાઓએ તેમના આરોપો પર વળતો પ્રહાર કર્યો છે.
Advertisement
Advertisement
દિલ્હી સરકારે સુધારા પછી પણ કોઈ જવાબ આપ્યો નથીઃ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુર
કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે આ મામલે જણાવ્યું હતું કે LGએ કેટલાંક અવલોકનો સાથે 2023-24ના બજેટને મંજૂરી આપીને તેને મુખ્યમંત્રીને મોકલી આપ્યું હતું. દિલ્હી સરકારે રાષ્ટ્રપતિની મંજૂરી માટે આ ફાઇલ ગૃહ મંત્રાલયને મોકલી હતી. ગૃહ મંત્રાલયે દિલ્હી સરકારને પોતાના વાંધાથી માહિતગાર કરી દીધી છે અને 17 માર્ચ, 2023 થી જવાબની રાહ જોઈ રહ્યું છે. ચાર દિવસ થઈ જવા છતાં દિલ્હી સરકારે સુધારા પછી પણ કોઈ જવાબ આપ્યો નથી. આ મામલો દિલ્હી સરકાર તરફથી પડતર છે, તેના માટે કેન્દ્ર સરકારને દોષ આપવો એ ખોટું છે.
માત્ર ખુલાસો માંગવામાં આવ્યો છેઃ કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબે
દરમિયાન, આ મામલે કેન્દ્રીય મંત્રી અશ્વિની કુમાર ચૌબેએ કહ્યું કે લોકો પાસે રહેવા માટે ઘર નથી. તેઓ (AAP) લોકોમાં ખોટો પ્રચાર કરી રહ્યા છે કે તેમનું બજેટ અટકાવી દેવામાં આવ્યું છે પરંતુ તેમની પાસેથી માત્ર ખુલાસો માંગવામાં આવ્યો છે. તે તમે આપી દેશો એટલે બજેટ પાસ થઈ જશે. તેમણે (AAP)એ તેમનું દિલ્હીનું બજેટ રજૂ કર્યું છે. પરંતુ તેમના બજેટમાં ઘણી વિસંગતતાઓ છે જેના જવાબો માંગવામાં આવ્યા છે. પરંતુ તેઓ કાગારોળ મચાવી રહ્યા છે. તેમણે બધાં નાણાં જાહેરાતો પાછળ ખર્ચી નાંખ્યા છે. દિલ્હીનો વિકાસ અટકી ગયો છે. શેરીઓમાં પાણી ભરાઈ ગયાં છે.
Advertisement