2015માં લોન્ચ કરાયેલા ભારતમાલા પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય 50 રાષ્ટ્રીય કોરિડોર બનાવી, દેશભરના 550 જિલ્લાને જોડીને માલસામાનની ટ્રાફિકની ભીડને ઘટાડવાનો હતો. હવે આ પ્રોજેક્ટ અંતર્ગત ફેઝ-1ના કામોની વિગતવાર માહિતી કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ આપી હતી. તેઓએ એ પણ જણાવ્યું કે ગુજરાતમાં આ પરિયોજના હેઠળ બનનાર 1579 કિલોમીટરના રોડમાંથી 1214 કિલોમીટરના 40 પ્રોજેક્ટના એવોર્ડ જાહેર કર્યા છે અને 609 કિલોમીટરના કામનું નિર્માણ થઈ ગયું છે.
આ પરિયોજના હેઠળ ગુજરાતમાં 62,260 કરોડના ખર્ચે 1579 કિ.મી.ના 49 પ્રોજેક્ટનો અમલ કરાશે. રાજ્યસભાના સંસદ સભ્ય નરહરિ અમીને જણાવ્યું છે કે, ભારતમાલા પરિયોજના હેઠળ દેશભરમાં રસ્તાંના કેટલાક પ્રોજેક્ટ મંજૂર થયા, કેટલો ખર્ચ થયો અને પરિયોજના હેઠળ ગુજરાતમાં મંજૂર થયેલા પ્રોજેક્ટ અને તેના ખર્ચ બાબતે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો.
તેના અનુસંધાને માર્ગ વાહન વ્યવહાર અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા 2017માં ભારતમાલા પરિયોજનાના ફેઝ-1માં 5,35,000 કરોડના ખર્ચે 32800 કિલોમીટર લંબાઈના રસ્તાના પ્રોજેક્ટ મંજૂર કરવામાં આવ્યા છે.
ફેઝ-1માં ગુજરાતમાં 62,260 કરોડના ખર્ચે 1579 કિલોમીટરના 49 પ્રોજેક્ટનો અમલ કરાયો છે, તે પૈકીના 1214 કિ.મી.ના 40 પ્રોજેક્ટના એવોર્ડ જાહેર કર્યા છે અને 609 કિલોમીટરના કામનું નિર્માણ થઈ ગયું છે.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં દાહોદ-વડોદરા અને વડોદરા-મુંબઈ કોરિડોટ (424 કિ.મી.), અમદાવાદ ધોલેરા એક્સપ્રેસ વે(110 કિ.મી.), અમૃતસર – ભટીન્ડા- જામનગર (205 કિ.મી.), સાંચોર-ડીસા-મહેસાણા-અમદાવાદ (212 કિ.મી.), દ્વારકા-પોરબંદર-સોમનાથ-ભાવનગર (126 કિ.મી.) મહત્વના પ્રોજેક્ટ છે.
Advertisement