ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે સુનાવણી દરમિયાન રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામકને કડક શબ્દોમાં ઠપકો આપ્યો હતો. તેમના વિરુદ્ધ કોર્ટના તિરસ્કારની તૈયારી દર્શાવવા પર મુખ્ય સરકારી વકીલે હાઈકોર્ટ સમક્ષ બિનશરતી માફી માગી હતી.
પત્રિકાનાઅહેવાલ મુજબ, હકીકતે તો એક શિક્ષકની ઈન્ટર ડિસ્ટ્રિક્ટ ટ્રાન્સફરના કેસમાં હાઈકોર્ટના સિંગલ જજે વર્ષ 2021માં આપેલા આદેશનું પાલન ન કરવાના કેસમાં ગુરુવારે સુનાવણી થઈ હતી. હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ એન વી અંજારિયા અને જસ્ટિસ નિરલ મહેતાની ખંડપીઠે આ કેસમાં હાઈકોર્ટના આદેશનું પાલન ન કરવા અને કોર્ટના આદેશનો અમલ કરવાના ઈનકાર સાથેનો જવાબ રજૂ કરતા કોર્ટે નારાજગી દર્શાવી હતી. ખંડપીઠે પ્રાથમિક શિક્ષણ નિયામકને પ્રશ્ર કર્યો કે શું તમે હાઈકોર્ટને સરકારી વિભાગ સમજો છો ?
સુનાવણીની શરૂઆતમાં સરકાર અને અધિકારીના વલણની ટીકા કર્યા પછી બપોરે પ્રાથમિક શિક્ષણ નિયામક અને મુખ્ય સરકારી વકીલને કોર્ટમાં હાજર રહેવાનો આદેશ આપ્યો હતો. તેને પગલે બન્ને હાજર થયા હતા. કોર્ટે ટિપ્પણી કરતાં જણાવ્યું કે તમે કોર્ટમાં જે જવાબ રજૂ કર્યો છે તે વાંચીને અમે વ્યથિત થયા છીએ. શું હાઈકોર્ટને સરકારી વિભાગ સમજીને વ્યવહાર કરી રહ્યા છો ? કોઈ અધિકારી સામે અમને વ્યક્તિગત વાંધો નથી, પરંતુ તમારી વાણી અને વ્યવહાર નિંદાને પાત્ર છે. તેથી તમારે કોર્ટમાં હાજર રહેવું પડ્યું છે, જેથી કોર્ટ સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તેની ખબર સૌને પડે. આવો જવાબ રજૂ કરવા બદલ હાઈકોર્ટે સરકારી વકીલ પ્રત્યે પણ નારાજગી દર્શાવતા કહ્યું કે તમારા અધિકારીની ભાષા અને શબ્દ જે અમારા આદેશનો એક હિસ્સો બને છે, તેવામાં અમે આ પ્રકારનો જવાબ કેવી રીતે રેકર્ડ પર રાખી શકીએ. ખંડપીઠે ક્હયું કે સરકારી પ્રશાસને કોર્ટના આદેશને ધ્યાને લેવાનો નથી હોતો, તેના પર અમલ કરવાનો હોય છે. હાઈકોર્ટના આદેશ પર અમલનો ઈનકાર કરવામાં આવ્યો હોય તેવું અમે હાઈકોર્ટના ઈતિહાસમાં અગાઉ ક્યારેય પણ જોયું નથી. ખંડપીઠે જ્યુડિશિયલ ઓર્ડર પસાર કરવાની બિનજામીનપાત્ર વોર્ંટ ઈસ્યુ કરવાની અને કન્ટેમ્પટ ઓફ કોર્ટ કરવાની તૈયારી દર્શાવતા મુખ્ય સરકારી વકીલે હાઈકોર્ટની બિનશરતી માફી માંગી હતી. જેને પગલે હાઈકોર્ટે મુખ્ય સરકારી વકીલને કોર્ટના આદેશનું પાલન કરવા માટેનો સમય આપ્યો છે. હાઈકોર્ટે આ કેસની આગામી સુનાવણી 14 માર્ચે રાખી છે.
Advertisement
Advertisement
Advertisement