અમદાવાદઃ ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં થયેલાં પરાજયના કારણો જાણવા માટે રચાયેલી ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પોતાનો રિપોર્ટ તૈયાર કરી દીધો છે. ત્રણ સભ્યોની કમિટી પોતાનો રિપોર્ટ સીલબંધ કવરમાં પક્ષના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને સુપરત કરશે. ગત વર્ષે વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. રાજ્યમાં છેલ્લાં 27 વર્ષથી સત્તા બહાર રહ્યા બાદ કોંગ્રેસે હવે વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું છે. કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ મહારાષ્ટ્રના પૂર્વ મંત્રી નીતિન રાઉતના નેતૃત્વમાં એક ટીમની રચના કરી હતી. આ ટીમે નેતાઓ, ઉમેદવારો, કાર્યકરો અને લોકો સાથે વાતચીત કરીને એક વિસ્તૃત રિપોર્ટ તૈયાર કર્યો છે. ફેક્ટ ફાઇન્ડિંગ કમિટીએ પરાજયના કારણો શોધવાની સાથે ઉકેલ પણ સૂચવ્યા છે.
Advertisement
Advertisement
સૌથી મોટું કારણ સંકલનનો અભાવ
સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, રિપોર્ટમાં પરાજયનું સૌથી મોટું કારણ સંકલનનો અભાવ જણાવવામાં આવ્યું છે. કોંગ્રેસ હાઈકમાન્ડ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વચ્ચે સારા સંકલનના અભાવને કારણે 2022ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસનો કારમો પરાજય થયો હતો અને પાર્ટી 77થી ઘટીને સીધી 17 બેઠકો પર આવી ગઈ હતી. જેના કારણે હવે પાર્ટીએ વિધાનસભામાં વિપક્ષના નેતાનું પદ પણ ગુમાવ્યું છે. AICCને સુપરત કરવામાં આવનારા આ રિપોર્ટ કેન્દ્રીય નેતૃત્વ અને રાજ્યના નેતૃત્વ વચ્ચે સમન્વયના અભાવ પર પણ ભાર મૂકાયો છે. એક તરફ પાર્ટીમાં કેન્દ્રીય ટીમ અને રાજ્યની ટીમ વચ્ચે સંકલન નહોતું તો બીજી તરફ ગુજરાત પ્રદેશની ટીમ અને જિલ્લાની ટીમો વચ્ચે પણ આવી જ સ્થિતિ હતી.
ડેમેજ કંટ્રોલમાં નેતાઓએ સહેજ પણ રસ દાખવ્યો નહીં
વધુમાં, રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાર્ટીએ ચૂંટણી દરમિયાન થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે કોઈ વ્યૂહનીતિ બનાવી ન હતી. પક્ષને નુકસાન થઈ રહ્યું હતું અને નેતાઓ કહેતા હતા કે જેને જવું હોય તે જાય. તેના કારણે જ ઘણાં નેતાઓએ કોંગ્રેસ છોડી દીધી હતી. તેનાથી સામાન્ય લોકોમાં કોંગ્રેસની છબી નબળી પડી હતી. તેનાથી પણ વધુ નુકસાન થયું છે. જવાબદાર નેતાઓએ ડેમેજ કંટ્રોલમાં સહેજ પણ રસ દાખવ્યો ન હતો.
ઉમેદવારોને પૂરતી સુવિધાઓ ન મળી
આ ઉપરાંત ફેક્ટ ફાઈન્ડિંગ કમિટીએ પોતાના રિપોર્ટમાં કહ્યું છે કે પક્ષના ઉમેદવારોને ચૂંટણી દરમિયાન મેનપાવર અને ફંડની અછતનો પણ સામનો કરવો પડ્યો હતો. ભાજપા સામે ચૂંટણી લડી રહેલા ઉમેદવારોને પૂરતી સુવિધાઓ મળી શકી ન હતી, જેના કારણે ઉમેદવારો ચૂંટણી પ્રચારમાં પાછળ રહી ગયા હતા. ઉમેદવારોને પાર્ટી તરફથી ફંડ મળ્યું ન હતું. ગત વર્ષની ચૂંટણીમાં કોંગ્રેસની બેઠકો ઘટીને માત્ર 17 થઈ હતી. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો આ સૌથી ખરાબ દેખાવ હતો. આ ચૂંટણીમાં તમામ મોટા નેતાઓનો પરાજય થયો હતો.
Advertisement