ખેરડી ગામની સરકારી શાળાના ગણિત શિક્ષકની કર્તવ્ય નિષ્ઠાને સો સો સલામ,
ડોક્ટરને કહ્યું, કેન્સરની સર્જરી પછી કરાવીશ, પહેલા અભ્યાસક્રમ પૂરો કરું તો ન ચાલે
Advertisement
Advertisement
કેન્સર જેવી ગંભીર બીમારીનું નામ સાંભળતા જ કોઈપણ માણસના પગ નીચેથી જમીન જતી રહે પરંતુ આપણા સમાજમાં એવા પણ કર્તવ્ય નિષ્ઠ સજ્જનો છે જેઓ પોતાના સ્વાસ્થ્ય, પરિવારની ચિંતા પછી પહેલા સમાજની સેવામાં સતત કાર્યશીલ રહે છે. એવા જ એક ગણિતના શિક્ષક અને આચાર્યની પ્રેરણાત્મક વાત આપણા હૃદયને હચમચાવી દેશે.
રાજકોટની બાજુમાં આવેલા ખેરડી નામના ગામની સરકારી હાઇસ્કૂલ (ગ્રાન્ટ ઇન એઇડ)માં આચાર્ય તરીકે ફરજ બજાવતા રમણીકભાઇ ડોબરીયાને મોઢાનું કેન્સર ડિટેક્ટ થતાં કેન્સર સર્જને તાત્કાલિક સર્જરી કરાવવા સલાહ આપી હતી.
પરંતુ ડોબરીયા સાહેબે ડોકટરને પૂછ્યું, “સાહેબ થોડી મોડી સર્જરી કરાવું તો ન ચાલે ?”
ડોકટરે સામો પ્રશ્ન કર્યો, “કેન્સર જેવા ગંભીર રોગમાં સર્જરી પાછી ઠેલવાનું કોઈ ખાસ કારણ?”
ડોબરીયા સાહેબે કહ્યું, “સાહેબ, હું શાળામાં આચાર્ય છું પણ વિદ્યાર્થીઓને ભણાવવું મને બહુ ગમે છે એટલે મારી શાળાના દસમા ધોરણના વિદ્યાર્થીઓને હું ગણિત ભણાવું છું. અત્યારે નવેમ્બર મહિનો ચાલે છે એટલે હજુ થોડો અભ્યાસક્રમ બાકી છે. મારા મોઢાની સર્જરી બાદ મારાથી વિદ્યાર્થીઓને ન ભણાવી શકાય તો એના અધૂરા અભ્યાસક્રમનું હવે શું થાય એનો સતત વિચાર આવ્યા કરે છે એટલે જો મોડું ઓપરેશન ચાલે એમ હોય તો હું વિદ્યાર્થીઓનો અભ્યાસક્રમ પૂરો કરાવી દઉં જેથી બોર્ડની પરીક્ષામાં મારા વિદ્યાર્થીઓ પાછા ન પડે.”
ડોકટરે કહ્યું, ‘ઑપરેશન તો તાત્કાલિક જ કરવું પડે એમ છે પણ સારી રિકવરી થશે તો તમે બે મહિના પછી વિદ્યાર્થીઓને ભણાવી શકશો.’ ડોકટરની સલાહ પ્રમાણે સર્જરી કરવાનું નક્કી થયું.
જ્યારે તેઓને સર્જરી માટે ઓપરેશન થિયેટરમાં લાવ્યા ત્યારે તેમનો ચહેરો ઊંડા વિચારમાં હતો.
ડોકટરે પૂછ્યું, ‘સાહેબ, શું વિચારો છો ?’
ડોબરીયા સાહેબે કહ્યું, “સાહેબ, મને હજુ પણ મારા વિદ્યાર્થીઓનો જ વિચાર આવે છે. ગામડાના વિદ્યાર્થીઓ છે અને માર્ચમાં બોર્ડની પરીક્ષા છે. અત્યારે ગણિત માટે બીજા કોઈ શિક્ષકની વ્યવસ્થા પણ ન થાય એટલે વિદ્યાર્થીઓના બાકી અભ્યાસક્રમનું શું થશે એની ચિંતા થાય છે. તમે કંઇક એવું કરજો કે હું ઝડપથી બોલતો થઈ જાવ.’
ઓપરેશન ટેબલ પર સૂતેલો માણસ પોતાના સ્વાસ્થ્યની ચિંતા કરવાના બદલે બીજાનો વિચાર કરે એ કોઈ સામાન્ય બાબત નહોતી.
સતત વિદ્યાર્થીઓની જ ચિંતા કરતા આ શિક્ષકના મોઢાના કેન્સરની સર્જરી બાદ ૪૫માં દિવસે એ વિદ્યાર્થીઓને ભણાવવા માટે શાળાએ આવી ગયા હતા. બાકીનો અભ્યાસક્રમ પૂરો કરવા માટે ડબલ શિફ્ટમાં કામ કર્યું અને બોર્ડની પરીક્ષા પહેલા ગણિતનો અભ્યાસક્રમ પણ પૂરો કરાવ્યો.
રમણીકભાઈ ડોબરીયા જેવા શિક્ષકને કારણે ખેરડીની આ સરકારી શાળા બોર્ડ પરીક્ષાના પરિણામમાં દર વર્ષે શ્રેષ્ઠતમ દેખાવ કરે છે.
Advertisement