તમને નવાઈ લાગશે પણ હાં, ગીરના જંગલમાં આજે પણ 54 નેસ છે જ્યાં લોકો લાઈટ વિના જીવે છે. એકદમ કુદરતી જીવન જીવવા ટેવાયેલા છે.
Advertisement
Advertisement
નેસ એટલે ચારણોનો વસવાટ. જ્યાં ચારણો વસે તેને નેસ કહેવાય. ગીરના જંગલમાં ચારણો અને રબારીઓના 54 જેટલા નેસ છે. જંગલમાં આજે પણ ફોરેસ્ટ એક્ટ પ્રમાણે લાઈટની સુવિધા આપવામાં આવતી નથી. સાપ નેસ, ઘુડ ઝિંઝવા નેસ, બિલિયાટ નેસ, લીલા પાણી નેસ, આસુંદ્રાળી નેસ.
જંગલના નિયમો પ્રમાણે સિંહના આભ્યારણ્યને કારણે આ નેસમાં કોઈ વિશેષ સુવિધા ના આપી શકાય. છતાં નેસમાં રહેતા માલધારીઓને શહેર કે ગામડાં કરતાં પોતાના નેસમાં રહેવું વધું ગમે છે.
ઘણીવાર તેમના ઢોરને કારણે છેક નેસ સુધી આવી જાય તો પણ તેમનામાં સિંહનો લેશમાત્ર ડર હોતો નથી. ઉલ્ટાના સિંહ તેમનાથી ડરે છે. નેસમાં રોજ સવારે દરેક માલધારી પોતાની ભેંસો લઈને જંગલમાં ચરાવવા જાય છે. આ માલધારીઓને સરકાર તરફથી જંગલમાં ઢોર ચરાવવાની છૂટ આપવામાં આવી છે. સાંજ પડે તેઓ પાછા આવીને ભેંસો દોવે છે.
માલધારીઓનો મુખ્ય વ્યવસાય દૂધ છે. વહેલી સવારે અને સાંજે ઢોર દોહીને નજીકના દૂધકેન્દ્રમાં તેઓ પોતાનું દૂધ જમા કરાવીને તેમાંથી મળતી રકમથી પોતાનું ગુજરાન ચલાવે છે.
માલધારીઓના બાળકો માટે સરકારે નેસમાં જ શાળાઓ ચાલું કરી છે. આ બાળકો પણ એટલાં નિડર છે કે તેમને સિંહ કે દીપડાની બીક નથી લાગતી. તેમને નાનપણથી જ રસ્તામાં સિંહ મળે તો શું કરવું અને તેનો કેવી રીતે સામનો કરવો તે પરિવારમાંથી શીખવાડવામાં આવ્યું હોય છે.
ઘુડઝિંઝવા નેસના ગોવિંદભાઈ ગઢવી જણાવે છે કે સાવજ અવાર નવાર અમારા નાના ઢોરને ખાવા આવી જાય. ઘણીવાર આસપાસના વિસ્તારોમાં એક બે દિવસ સુધી રોકાણ કરે તો પણ અમે નિડરતાથી તેનો સામનો કરીએ છીએ. અમારા માટે સિંહનું આવવું એ કોઈ મોટી વાત નથી હોતી. ઉલટાનું અહીં જે શિક્ષકો ભણાવવા આવે છે તેમને સિંહની વિશેષ બીક હોય છે. અમારા બાળકો શહેરમાં જાય ત્યારે વધારે તો લોકોથી ડરે છે. અમને શહેર કરતાં નેસમાં વધારે અનુકૂળતા રહે છે.
અમે અહીં એકદમ સાત્વિક જીવન જીવીએ છીએ. નેસમાં કોઈ ટી.વી કે મોબાઈલ ન હોવાથી માનસિક શાંતિ લાગે છે. બહાર જોઈએ છીએ તો લોકો ખૂબ વ્યાકૂળ છે અની સામે નેસમાં લોકો એકદમ નિરાંતની કુદરતી જીંદગી જીવી રહ્યા છે.
આખા ગીરના અંતરીયાળ ભાગમાં લગભગ 54 જેટલા નેસ છે અને તેમાં ચારણ, રબારી, આહિર વિશેષ છે. બધાં જ એક પ્રકારનો વ્યવસાય કરે છે અને દરેકની પોતાની આગવી સંસ્કૃતિનું મહત્ત્વ છે.
Advertisement