નવી દિલ્હી: ત્રિપુરાના પૂર્વ મુખ્યમંત્રી બિપ્લવ દેવને ભાજપે રાજ્યસભાની પેટા ચૂંટણી માટે ઉમેદવાર બનાવ્યા છે. બિપ્લવ દેવે આ વર્ષે મેમાં ત્રિપુરાના મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી દીધુ હતુ. બિપ્લવકુમાર દેવના અચાનક રાજીનામાના સમાચારે રાષ્ટ્રીય રાજનીતિમાં હલચલ ઉભી કરી હતી. તે બાદ ભાજપે માણિક સાહાને રાજ્યના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Advertisement
Advertisement
ત્રિપુરાની એકમાત્ર રાજ્યસભા બેઠક માટે પેટા ચૂંટણી 22 સપ્ટેમ્બરે યોજાવાની છે. આ બેઠક પરથી એપ્રિલ 2022માં માણિક સાહા ચૂંટાયા હતા, તેમનો કાર્યકાળ એપ્રિલ 2028માં પુરો થવાનો હતો પરંતુ 15 મેએ માણિક સાહાના સીએમ બન્યા બાદ આ બેઠક ખાલી પડી હતી. માણિક સાહા વર્ષ 2016માં કોંગ્રેસ છોડીને ભાજપમાં સામેલ થયા હતા. 2020માં ભાજપે તેમણે પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ પણ બનાવ્યા હતા.
ભાજપના રાષ્ટ્રીય મહાસચિવ અરૂણ સિંહ તરફથી જાહેર યાદીમાં કહેવામાં આવ્યુ છે કે પાર્ટીની કેન્દ્રીય ચૂંટણી સમિતીએ ત્રિપુરામાં આગામી યોજાનાર રાજ્યસભાની પેટા ચૂંટણી માટે બિપ્લવદેવના નામ પર પોતાની મોહર મારી છે. બિપ્લવ કુમાર દેવની છબી ત્રિપુરામાં ભાજપના નેતા તરીકે રહી છે. રાજીનામુ આપ્યા પહેલા બિપ્લવ કુમાર દેવ દિલ્હીમાં ગૃહમંત્રી અમિત શાહને મળ્યા હતા. માનવામાં આવ્યુ હતુ કે પાર્ટી નેતૃત્વના ઇશારા પર જ બિપ્લવ કુમાર દેવે પોતાના પદ પરથી રાજીનામુ આપ્યુ હતુ.
ભાજપ હાઇ કમાને શુક્રવારે જ બિપ્લવ કુમાર દેવને હરિયાણાના પ્રભારી બનાવવાની જાહેરાત કરી હતી, તેમની સાથે કેટલાક અન્ય નેતાઓને પણ જવાબદારી સોપવામાં આવી છે. ભાજપમાં થયેલા મોટા અને મહત્વના બદલાવોને આ રાજ્યમાં યોજાનારી આગામી વિધાનસભા ચૂંટણી સાથે સાથે 2024માં યોજાનાર લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખતા મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યુ છે.
કયારેક સતનાના સાંસદના અંગત સચિવ હતા
બિપ્લવ દેવ 16 વર્ષ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યકર્તા રહી ચુક્યા છે. તે મધ્ય પ્રદેશના સતનાના ભાજપના સાંસદ ગણેશ સિંહના અંગત સચિવ પણ હતા. 2014માં બનારસમાં લોકસભા ચૂંટણીની પીએમ મોદીની કેમ્પેનિંગને મેનેજ કરવાનું કામ પણ બિપ્લવદેવે કર્યુ હતુ. મોદીએ વડાપ્રધાન બન્યા બાદ બિપ્લવ દેવને દિલ્હીથી ત્રિપુરા મોકલ્યા હતા.
ત્રિપુરાની કમાન મળવાના બે વર્ષની અંદર બિપ્લવ દેવે ભાજપ માટે રાજ્યમાં કાયાપલટ કરી દીધી અને છેલ્લા 25 વર્ષથી ચાલતુ લેફ્ટનું સામ્રાજ્ય ખતમ કરી નાખ્યુ હતુ. પાર્ટીએ આ શાનદાર પ્રદર્શનનું ઇનામ બિપ્લવ દેવને આપ્યુ અને તેમણે 2018માં ત્રિપુરાના મુખ્યમંત્રી બનાવ્યા હતા.
Advertisement