રાજકોટ: ગુજરાત અને મહારાષ્ટ્રના ખેડૂતોને ડુંગળી રડાવી રહી છે. ડુંગળી વેચવા માટે માર્કેટ યાર્ડમાં પહોચતા જ ખેડૂતોએ રોવાનો વારો આવ્યો છે. ખેડૂતોને ડુંગળીના યોગ્ય ભાવ મળતા નથી અને ઉપરથી ઘાટ કરતા ઘડામણ વધી જાય છે. રાજકોટના ધુતારપુર ગામના ખેડૂત રાજકોટ યાર્ડમાં ડુંગળી વેચવા માટે આવ્યા હતા પણ તેમણે વળતર તો ના મળ્યુ પરંતુ ઉપરથી પોતાના ખિસ્સામાંથી 131 રૂપિયા ટ્રક માલિકને ભાડાના વધારાના ચુકવવા પડ્યા હતા. આવો જ કિસ્સો ગોંડલમાં પણ સામે આવ્યો હતો. ગોંડલમાં પણ એક ખેડૂતને ડુંગળીનો વેચાણ ખર્ચ કાઢ્યા પછી વળતર પેટે માત્ર 10 રૂપિયા જ મળ્યા હતા.
Advertisement
Advertisement
આવક કરતાં ટ્રક ભાડું જ વધારે થયું
ધુતારપુર ગામના જમનભાઈ રાજકોટ યાર્ડમાં કુલ 472 કિલો ડુંગળી લઈને આવ્યા હતા અને તેમને એક મણનો રૂ.21 ભાવ મળ્યો હતો. આ ભાવે ડુંગળી વેચવાના તેમને કુલ રૂ. 495 મળ્યા હતા. જેની સામે તેમને રૂ. 626નો ખર્ચ થયો. આમ તેમને રૂ.131 સામે ચૂકવવા પડ્યા હતા. તેમને ટ્રક ભાડું રૂ. 590 અને ઉતરાઈ ખર્ચ રૂ.36.40 થયો હતો. ડુંગળી વેચવા માટે સામે પૈસા ચૂકવવાના થતા તેમની આંખમાંથી પાણી આવી ગયા હતા. ખેડૂતોના જણાવ્યા મુજબ તેમણે જે પૈસા ચૂકવવા પડ્યા એ તો માત્ર ઘરેથી યાર્ડ સુધીનો જ ખર્ચ લાગ્યો છે. આ સિવાય વાવેતરનો ખર્ચ, મજૂરી ખર્ચ તો તેમાં સામેલ જ નથી. આવું બનતું હોવાથી ઘણાં ખેડૂતો પોતાનો પાક વેચવાને બદલે ઉકરડામાં ફેંકી દે છે.
કમિશન એજન્ટે જવાબ ટાળ્યો
ધુતારપુર ગામના ખેડૂતને ડુંગળી વેચવા માટે કોઈ વળતર ન મળ્યું અને ઉપરથી સામે પૈસા ચૂકવવા પડ્યા એ અંગે કમિશન એજન્ટે કોઈપણ જાતનો જવાબ દેવાનું ટાળ્યું હતું. ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ નહિ મળવાને કારણે ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
ગોંડલના ખેડૂતને માત્ર રૂ.10 જ મળ્યા
ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં એક ખેડૂતને ડુંગળીના વેચાણમાં બધો ખર્ચ કાઢ્યા પછી વળતર પેટે માત્ર ૧૦ રૂપિયા જ મળતા ખેડૂતોમાં ચિંતાની લાગણી જોવા મળી રહી છે.
કાલાવાડના બજરંગપુરા ગામના ખેડૂતે 166 કિલો ડુંગળી વેચી હતી જેમાં એક મણના ૩૧ રૂપિયા લેખે તેમને ભાવ મળ્યો હતો અને ડુંગળીની કુલ આવક 257 રૂપિયા થઈ હતી. પરંતુ, ડુંગળીનો જથ્થો યાર્ડ સુધી પહોંચાડવાનો તેમજ અન્ય મજૂરી ખર્ચ વગેરેના કુલ રૂપિયા 247 થતા ખેડૂતના હાથમાં માત્ર 10 રૂપિયા જ આવતા તેમની હાલત દયનીય બની ગઈ હતી.
10 રૂપિયાનું બીલ સોશિયલ મીડિયામાં વાયરલ
બજરંગપુરા ગામના ખેડૂતે ૧૬૬ કિલો ડુંગળી ગોંડલની સાવલિયા એન્ટરપ્રાઇઝ નામની પેઢી ને વેચી હતી. ડુંગળીની કુલ આવક ૨૫૭ રૂપિયા થઈ હતી અને મજૂરી ખર્ચ વગેરે ના રૂપિયા ૨૪૭ થતા ખેડૂત ના હાથમાં માત્ર ૧૦ રૂપિયા જ આવ્યા હતા. હાલ આ બિલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યું છે.
ઓનિયન પોલિસી બનાવવા માંગ
સિઝન વખતે ડુંગળી ખેડૂતોને અથવા તો ગ્રાહકોને રડાવે છે. ડુંગળીને સ્ટોરેજ કરી શકાતી નથી. તેનું વાવેતર અને ઉત્પાદન પણ વધારે થતું હોય છે. વળી યાર્ડમાં બધો પાક એકસાથે આવ્યો છે. તેને માટે સ્ટોરેજ ન થતા પુરવઠો વધી ગયો છે. તેથી ડુંગળીના ભાવ પણ નીચા ગયા છે. સરકારે ખેડૂતોને ડુંગળીના પૂરતા ભાવ મળે અને ગ્રાહકોને પણ વધુ પૈસા ન ચૂકવવા પડે તે માટે ઓનિયન પોલિસી બનાવવી જોઈએ તેવી ખેડૂતોની માંગ છે. આ અંગે સરકારને રજૂઆત પણ કરવામાં આવી છે. હવે આ દિશામાં યોગ્ય નિર્ણય લેવો જરૂરી બન્યો છે.
Advertisement