પોરબંદરની ઘટના પછી ગુજરાતમાં ડોલ્ફિનનો શિકાર થતો અટકાવવા રાજ્ય સરકાર એક્શનમાં આવી છે. રાજ્યના દરિયાકિનારે ડોલ્ફિન કે શાર્કનો શિકાર થતો અટકાવવા માટે વિવિધ એજન્સીઓ ભેગી કરી ટાસ્કફોર્સની રચના કરવાનું નક્કી કરાયું છે.
વિધાનસભામાં વન અને પર્યાવરણ મંત્રીએ જણાવ્યું કે, પોરબંદર દરિયાઈ વિસ્તારમાં ગેરકાયદે ડોલ્ફિનનો શિકાર કરવામાં આવ્યો છે, જેમાં એક બોટમાંથી તામિલનાડુના પાંચ, આસામના બે, ઓરિસ્સાના એક અને કેરાલાના બે મળીને કુલ 10 વ્યક્તિઓને પકડવામાં આવ્યા હતા. આ બોટમાં તપાસ કરતા 22 ડોલ્ફિન અને ચાર શાર્ક મૃત હાલતમાં મળી આવી છે.
દરિયાઈ જીવ ડોલ્ફિન એ વન્યપ્રાણી સંરક્ષણ અધિનિયમ પ્રમાણે શેડ્યુઅલ-1 પ્રમાણે રક્ષિત જીવ હોવાથી સરકારે તેના શિકારને રોકવાના પગલાં શરુ કર્યા છે. ખાસ કરીને દ્વારકા અને બેટ દ્વારકા વિસ્તારમાં ડોલ્ફિન ટુરિઝમ શરુ કરવામાં આવ્યું છે જેમાં પ્રવાસીઓ માટે કેટલાક નિયંત્રણો લાગુ કરાયા છે.
ઓખા વિસ્તારમાં ડોલ્ફિનને જોવા પ્રવાસીઓ આવતા હોય છે કેમ કે એક સર્વેક્ષણ પ્રમાણે આ વિસ્તારમાં 200થી પણ વધારે ડોલ્ફિન છે.
પેટ્રોલિંગ અને સંરક્ષણના પગલાં લેવા કોસ્ટગાર્ડ, મરીન પોલીસ અને ઈન્ડિયન કસ્ટમ જેવી એજન્સીઓના સંકલનમાં રહીને બાતમી મેળવવાનું નેટવર્ક ઊભું કરાશે.
Advertisement
Advertisement
Advertisement