દિલ્હીઃ ભારત રાષ્ટ્ર સમિતિ (BRS)ના નેતા અને તેલંગાણાના મુખ્યમંત્રી કે. ચંદ્રશેખર રાવના પુત્રી કે. કવિતાએ દિલ્હી એક્સાઈઝ નીતિ મામલામાં સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા છે. કે.કવિતા એ આ કેસની તપાસ કરી રહેલા એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED)ના સમન્સને પડકારતી અને સંભવિત ધરપકડથી બચવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. ચીફ જસ્ટિસ ડી વાય ચંદ્રચુડ અને જસ્ટિસ પી એસ નરસિંહાની બેન્ચે કે કવિતા દ્વારા કરાયેલી રજૂઆતોની નોંધ લીધી હતી અને અરજીની સુનાવણી 24 માર્ચે રાખવાની સંમતિ આપી હતી.
Advertisement
Advertisement
11 માર્ચે થઈ હતી નવ કલાક પૂછપરછ
અત્રે ઉલ્લેખનીય છે કે EDએ 11મી માર્ચે શરાબ નીતિ કૌભાંડ કેસમાં દિલ્હીમાં લગભગ 9 કલાક સુધી તેમની પૂછપરછ કરી હતી. તે અગાઉ પણઈડીએ તેમને 9 માર્ચેહાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું. જોકે, કે કવિતાએ ED સમક્ષ હાજર થવા 11મી માર્ચનો સમય માગ્યો હતો.
અરજીમાં કવિતાએ શું કહ્યું ?
કવિતાના વકીલે સુપ્રીમ કોર્ટમાં દાખલ કરેલી અરજીમાં કહ્યું કે નિયમો પ્રમાણે કોઈપણ મહિલાને પૂછપરછ માટે ED કાર્યાલયમાં બોલાવી શકાય નહીં અને તેમના નિવાસસ્થાને જ પૂછપરછ થવી જોઈએ.વકીલે કહ્યું કે ED શરાબ નીતિ કૌભાંડમાં ધરપકડ કરાયેલા હૈદરાબાદના વ્યાપારી અરુણ રામચંદ્ર પિલ્લાઈ અને કવિતાની સામ-સામે વાતચીત કરાવવા માગે છે. પરંતુ, તપાસ એજન્સીએ અત્યાર સુધી એવું કશું કર્યું નથી.
અગાઉ ઈડીની કાર્યવાહીને ‘રાજકીય સતામણી’ ગણાવી હતી
તાજેતરમાં કવિતાએ આ મામલા અંગે એક નિવેદન જારી કર્યું હતું. તેમણે કેન્દ્ર સરકારની ખૂબ ટીકા કરી હતી. ઈડીની કાર્યવાહીને તેમણે ‘રાજકીય સતામણી’ સમાન ગણાવી હતી અને કહ્યું હતું કે દિલ્હી શરાબ કૌભાંડ અંગે ચાલી રહેલી તપાસ સાથે તેમને કોઈ નિસ્બત નથી. કવિતાએ ED પર એવો પણ આરોપ મૂક્યો હતો કે ઘણાં લોકોને પજવવામાં આવી રહ્યા છે. તેમણે દાવો કર્યો હતો કે તેઓ અગાઉ ક્યારેય મનીષ સિસોદિયાને મળ્યા નથી.
Advertisement